Western Times News

Gujarati News

પુત્રની સામુહિક આત્મહત્યા બાદ નિરાધાર પિતાની ટેકણ લાકડી બનતી રાજ્ય સરકાર

દાહોદમાં થોડા સમય પૂર્વે પત્નિ-પુત્રીઓ સાથે આત્મહત્યા કરનાર પુત્રના પિતાને એનએફએસ કાર્ડ, હેલ્થ કાર્ડના લાભ અપાયા

કમનસીબ પિતાને તેના પુત્ર બની પડખે ઉભું રહેતું દાહોદ જિલ્લા વહીવટી તંત્ર, શબ્બીરભાઇને આંખનું ઓપરેશન વિનામૂલ્યે કરાયું

આલેખન – દર્શન ત્રિવેદી

દાહોદના ગઢી કિલ્લામાં આવેલી મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં ઉઘડતી ઓફિસે એક મહિલા આવી ચઢ્યા. ત્યાં હાજર નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી પાસે જઇને કહ્યું. ‘સાહેબ, આ રાશન કાર્ડમાંથી પાંચ નામ કમી કરવાના છે’ એટલું કહેતા જ આગંતુક મહિલાના ગળે ડુમો ભરાઇ ગયો અને રડી પડ્યા ! ઓફિસમાં હાજર લોકોને એવું લાગ્યું કે, કોઇ ગૃહકલેશના કારણે રાશન કાર્ડ અલગ કરવાના હશે. પણ, એની પાછળની વાત બહુ જ કરુણ હતી.

સકીનાબેન રાણાપુરવાલા નામની આ મહિલાને ઉપસ્થિત સ્ટાફે પાણી પીવડાવી સાંત્વના આપી. તેણીએ માંડીને વાત કરી. દાહોદમાં ગોધરા રોડ ઉપર સુજાઇ બાગ સ્થિત બતુલ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના ભાઇ સૈફી દૂધિયાવાલા, ભાભી મેજબીન અને ત્રણ બાળકો સાથે થોડા સમય પહેલા સામુહિક આત્મહત્યા કરી લીધી. આ ઘટનાએ સમગ્ર દાહોદ પંથકને હચમચાવી દીધું હતું.

આ કરુણાંતિકા બાદ સકીનાબેનના માતાપિતા નિરાધાર થઇ ગયા. તેમની સ્થિત વર્ણવી તો કેટલાક કર્મચારીઓના આંખમાં આંસુ આવી ગયા. નાયબ મામલતદાર શ્રી જોશીએ સરકારી તંત્ર તરફથી આપવામાં આવતી સહાય મેળવવા મદદ કરવાની ધરપત આપી અને સકીનાબેનને તેમનું કામ પતાવી ઘરે રવાના કર્યા.

રાજ્ય સરકારના વડા એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમગ્ર તંત્રનું સંવેદનશીલતાથી સંચાલન કરતા હોવાથી તેનો પડધો અહીં સારી રીતે ઝીલાયો. સકીનાબેનના પિતા શબ્બીરભાઇ દૂધિયાવાલાના ઘરે સૌ પ્રથમ ત્રણ માસ સુધી ચાલે એટલું રાશન મોકલી આપવામાં આવ્યું. આ પુણ્યનું કામ મામલતદાર કચેરીની પુરવઠા શાખાએ કર્યું અને એ પણ પોતાની રીતે !

હવે, પહેલું કામ શબ્બીરભાઇને પુરવઠાનું રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષાનું રાશન કાર્ડ આપવાનું કરાયું. આ કાર્ડ મળવાથી રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર અનાજ તેમને મળવા લાગશે. બીજું કામ, શબ્બીરભાઇને યોગ્ય સ્થળે આશરો આપવાનું કરવામાં આવ્યું. વહોરા સમાજના આમીલજીએ તેમનો સંપર્ક કરી વિનામૂલ્યે રહેઠાણ માટે આવાસની વ્યવસ્થા કરી આપી. નિરાધાર પરિવારના પુનઃસ્થાપન માટે દાહોદના વહોરા સમાજની આ પ્રેરણાદાયી પહેલ હતી.

શબ્બીરભાઇને મધુપ્રમેહની બિમારી. એ બાબતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તેમને તત્કાલ મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ સમયગાળામાં થયું એવું કે, શબ્બીરભાઇને આંખોમાં દેખાવાની તકલીફ થઇ. દવાખાને દેખાડવામાં આવ્યું તો ખબર પડી કે તેમની આંખોમાં રેટીનાને લગતી તકલીફ છે. આંખોમાં રેટીનાને લગતી બિમારી જટીલ હોય છે. આવા સંજોગોમાં મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ તેમના માટે વૃદ્ધાવસ્થાની ટેકણ લાકડી બની સાથે આવ્યું.

દાહોદની હોસ્પિટલ દ્રષ્ટિ નેત્રાલયમાં શબ્બીરભાઇને રેટીનાને લગતા ઓપરેશન કરવા માટે દાખલ કરવામાં આવ્યા. સામાન્ય રીતે જે ઓપરેશનનો ખર્ચ દોઢેક લાખ રૂપિયા થાય, એ તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવ્યો. તેમનું ઓપરેશન ડો. મેહુલ શાહે સુપેરે પાર પાડ્યું.

આ પરિવાર ગળાગળા સ્વરે કહે છે, અમારા કપરા સંજોગોમાં અમારી સાથે ઉભા રહેનારી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખૂબખૂબ આભાર.

મામલતદાર કચેરીના કર્મયોગીઓ તેમની ખબર અંતરની પૃચ્છા કરવા માટે હોસ્પિટલ ઉપર ગયા ત્યારે બહુ જ ભાવુક દ્રષ્યો સર્જાયા. સકીનાબેન અને શબ્બીરભાઇની આંખમાંથી આંસુને બદલે તેમને મદદ કરનારા તમામ માટે દૂઆ વરસી રહી હોય એવું લાગ્યા વીના રહે નહી. અને આમેય, સરકારનું કામ ભગવાનનું કામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.