Western Times News

Gujarati News

કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે ૯થી સવારે ૬ સુધી નાઈટ કર્ફ્‌યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે

ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૧૦૦ કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં ૫૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ ૫૫ હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં ૮૫ ટકા એટલે કે લગભગ ૪૫ હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે.

જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે આ ઉપરાંત ૧૦૪ હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં ૨ લાખ ૭૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો છે.

બોન્ડ ધરાવતા ડૉક્ટરોને એપીડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે. જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ૧,૧૦૦ ધનવંન્તરી રથ કાર્યરત હતા

જેની સંખ્યા વધારીને ૧૭૦૦ કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં ૧.૫૨ લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે. ગુજરાત સરકારે રાજ્યમાં આરટી-પીસીઆર ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે,

જે અંતર્ગત ગઈકાલે લગભગ ૭૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા-હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ ૭૦૦ સંજીવની રથના માધ્યમથી દૈનિક ત્રણ હજાર કોલ્સ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે

જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરના વરિષ્ઠ નાગરિકોને કોવિડથી બચાવવા અને તેમને યોગ્ય ઈલાજ માટે વડીલ સુખાકારી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સેવા અંતર્ગત વડીલોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરીને દવાઓ આપવામાં આવે છે. આ સેવાનો અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે, એટલે કે ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણને રોકવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.