અમદાવાદ NIDના 430 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદવી એનાયત કરાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે NIDનો 44મો પદવીદાન સમારોહ યોજાયો
સુંદર વસ્તુના નિર્માણથી લોકોના જીવનમાં ખુશી આવે અને છેવાડાના માનવીનું જીવન બદલાય, તેવો અભિગમ રાખવો જોઈએ: રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ
રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ થાય તેવી ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ બનાવે છે-:રાષ્ટ્રપતિ
દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં એનઆઈડી જેવી સંસ્થાઓનું મહત્વનું યોગદાન છે
વિદ્યાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે, ધનનો ઉપયોગ જરૂરિયાતમંદોની મદદ માટે અને બળનો ઉપયોગ નબળાંઓની રક્ષા માટે કરો: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
આજે અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)નો 44 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીના કુલ- 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૦૨ સ્નાતક વિદ્યાર્થીઓ, ૩૨૩ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ૫ સ્કોલર્સને પી.એચડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
LIVE: President Droupadi Murmu addresses the convocation of the National Forensic Sciences University at Gandhinagar https://t.co/i9CDQc3cya
— President of India (@rashtrapatibhvn) February 28, 2025
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ૪૪મા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, અમદાવાદ નામાંકીત શૈક્ષણિક સંસ્થાઓનું ઉદગમ સ્થાન છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી આવી જ એક મહત્વની સંસ્થા છે.
ડિઝાઇન ક્ષેત્રે શિક્ષણ અને તાલીમ આપતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન પાયોનિયર હોવાની સાથોસાથ શીખવવાના તેના આગવા અંદાજના લીધે પણ જાણીતી છે. તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડિઝાઇન ક્ષેત્રે સતત સફળતાના શિખરો સર કરી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ડિઝાઇનના મહત્વ વિશે વાત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, ડિઝાઇન સમાજ અને દુનિયાના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન પૂરા પાડે છે. ડિઝાઇન દ્રશ્ય ભાવને અસરકારક રીતે વ્યક્ત કરે છે. સાથે જ, તેમણે એનઆઈડી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ગણતંત્ર દિવસની એટ હોમ સેરેમનીની આમંત્રણ પત્રિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ડિઝાઇનના બહુઆયામી શિક્ષણ સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન સમાજ નિર્માણ અને લોકસમસ્યાઓના હકારાત્મક ઉકેલ અર્થે અનેકવિધ સમાધાન પૂરા પાડે છે. ડિઝાઇન ક્ષેત્રે ક્રિએટિવ થીંકિંગ થકી છેવાડાના માનવીઓનાં જીવનધોરણમાં નોંધપાત્ર બદલાવ લાવવા સાથે દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં આ સંસ્થા મહત્વનું યોગદાન આપી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
21મી સદીમાં ડિઝાઇનના આયામો અને મહત્વ વિશે વાત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, ડિઝાઇન આપણા વારસા અને આધુનિકતાને સાથે લાવે છે. તેના યોગ્ય સંમિશ્રણ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ દ્વારા તે ગ્રામીણ અને આધુનિક ભારતના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ડિઝાઇનના માધ્યમથી ટ્રેડિશનલ સ્કિલ્સને આધુનિક જરૂરિયાતો માટે ઉપયોગી બનાવીને આ સંસ્થા સસ્ટેનેબલ લાઈવલીહુડ પૂરું પાડવામાં મહત્વની સાબિત થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું કે, એનઆઇડીના વિદ્યાર્થીઓ ઇમ્પેક્ટફુલ ડિઝાઇન બનાવી રહ્યા છે. અર્બન અને રૂરલ વચ્ચેનો તફાવત દૂર થાય, તેમજ માર્જિનલાઇઝડ લોકોને લાભ થાય, રીયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ થાય તેવી ડિઝાઇન અહીંના વિદ્યાર્થીઓ બનાવે છે.
રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાર્થીઓને જનસેવાની પ્રેરણા આપતા કહ્યું કે, તમારા ટેલેન્ટ અને સ્કીલનો ઉપયોગ સમાજ માટે કરજો. સમાજનું – રાષ્ટ્રનું ઋણ ચૂકવવાનો હવે અવસર છે. સુંદર વસ્તુના નિર્માણથી લોકોના જીવનમાં ખુશી આવે અને છેવાડાના માનવીનું જીવન બદલાય તેવો અભિગમ રાખવો જરૂરી છે.
: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :
રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન – NIDના 44મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે છેલ્લાં લગભગ પચાસ વર્ષોથી આ સંસ્થાએ ભારતમાં ડિઝાઇન ક્ષેત્રમાં જે કીર્તિમાન સ્થાપિત કર્યા છે, તેના માટે આ સંસ્થાના સંચાલકો અને વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે. જે વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, લગન, નિષ્ઠા અને પરિશ્રમથી ડિગ્રી મેળવી છે, તે વિદ્યાર્થીઓને તેમણે શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પ્રતિષ્ઠિત સંસ્થાનના આ વિદ્યાર્થીઓ ‘વિકસિત ભારત‘ના નિર્માણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સપનાને સાકાર કરવામાં સહયોગી બનશે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારત ડિઝાઇન ક્ષેત્રમાં કોઈ નવો દેશ નથી. જ્યારે યુરોપના લોકો વલ્કલ વસ્ત્રો પહેરતા હતા, તે સમયે ભારતના ઢાકાના મલમલને મૅચબૉક્સમાં બંધ કરવાની કળા અહીંના લોકોએ વિકસાવી હતી. ભારતના કુટિર ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત હતા. આપણા વેપારીઓ સમુદ્રી જહાજોમાં માલ ભરીને આખી દુનિયામાં પુરવઠો પહોંચાડતા હતા. આપણી શિલ્પકલા અભૂતપૂર્વ હતી.
ગામનો દરેક કારીગર ડિઝાઇનર હતો. મોચી જૂતામાં, વણકર વસ્ત્રોમાં અને કુંભાર માટીના વાસણોમાં અનોખી ડિઝાઇન બનાવતા હતા. આ બધી ડિઝાઇન ઈશ્વરની આધ્યાત્મિકતા અને પ્રકૃતિની કૃતિમાંથી પ્રેરિત હતી. તેમણે કહ્યું કે, “ભગવાનની કૃતિને જુઓ, એમનાથી મોટો ડિઝાઇનર દુનિયામાં બીજો કોઈ નથી.” તમે કોઈ વૃક્ષ નીચે બેસો અને તેની પાંદડીઓને જુઓ, તો તમને ખબર પડશે કે ભગવાને કેટલી સુંદરતાથી અને બારીકીથી તેની રચના કરી છે.
ફૂલોમાં અનેક રંગોનું એવું સમિશ્રણ છે, જે કયાંય અન્યત્ર શક્ય નથી. આ વૃક્ષો-ફૂલો ફક્ત સૌંદર્ય જ નહીં, પણ પર્યાવરણને શુદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે. સમુદ્ર, નદીઓ, પહાડો, વનસ્પતિ અને પક્ષીઓમાં જે અનન્ય ડિઝાઇન છે, તે આપણને શીખવે છે કે, આપણે આપણી સર્જનાત્મકતાને પ્રકૃતિ સાથે કેવી રીતે જોડવાની જરૂર છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ નવીનતાને પસંદ કરવાની છે. આપણે એક જ પ્રકારનાં વસ્ત્રો કે ખોરાકથી કંટાળી જઈએ છીએ, તેથી બદલાવની ઇચ્છા સ્વાભાવિક છે. ભારતીય ડિઝાઇન સંસ્થાન માનવ જીવનની આ જરૂરિયાતને સમજતા, એવી ડિઝાઇન તૈયાર કરે જે લોકોના જીવનમાં નવીનતા અને ઉત્સાહ ભરી શકે. આજે દુનિયા નવી ટેકનોલૉજી અને નવીનતા સાથે આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં આ સંસ્થાન સમાજને નવો દૃષ્ટિકોણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
અંતમાં, તેમણે કહ્યું કે આ દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી મેળવવાનો અવસર જ નથી, પરંતુ જીવનના નવા અધ્યાયની શરૂઆત પણ છે. પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહમાં ગુરુ દ્વારા તેમના શિષ્યોને અંતિમ ઉપદેશ આપવામાં આવતો હતો કે, શિષ્ય પોતાની વિદ્યાનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કરશે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે જીવનમાં ત્રણ વસ્તુઓ સૌથી કીમતી છે – વિદ્યા, ધન અને શારીરિક બળ. સારા લોકો પાસે આ ત્રણે હોય તો તેઓ તેનો ઉપયોગ સમાજની સેવા માટે કરે છે, પરંતુ જો આ દુર્બુદ્ધિ ધરાવનાર લોકો પાસે જાય, તો તેનો દુરુપયોગ થાય છે. વિદ્યા વાદ-વિવાદ માટે, ધન વૈભવ માટે અને બળ અન્ય લોકોને પીડા આપવા માટે ઉપયોગ થાય છે. તેમણે કહ્યું કે, વિદ્યાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરો, ધનનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરો, અને બળનો ઉપયોગ નબળાંઓની રક્ષા માટે કરો. આ જ સચી શિક્ષા અને વિદ્યાનો હેતુ છે.
તમામ નવ-દીક્ષિત સ્નાતકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે મંગલકામનાઓ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને તેમનાં જ્ઞાન અને કુશળતા રાષ્ટ્રના નિર્માણમાં વાપરવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
: મુખ્યમંત્રીશ્રી :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે NIDના યુવા ડિઝાઇનરોને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વને સ્માર્ટ અને સ્કિલ્ડ મેનપાવર સોલ્યુશન્સ ભારતે આપવાના છે. આપણે સૌએ સાથે મળીને ભારતને વિશ્વમાં માનવશક્તિનું સૌથી મોટું પાવર સેન્ટર બનાવવાનું છે. શીખવાની અને આગળ વધવાની પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના ચાર સ્તંભોમાં યુવા શક્તિને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ભારતના યુવાનોની સ્કિલ, વિલ અને ઝીલ પર વડાપ્રધાનશ્રીને પૂરો ભરોસો છે. આ જ ભરોસાના દમ પર તેમણે દેશના યુવાનો, ઇનોવેટર્સ અને ડિઝાઇનર્સને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો છે. આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ દેશમાં એક નવી અર્થવ્યવસ્થાના નિર્માણનો માર્ગ પણ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આજના યુગમાં ક્લાઇમેટ ચેન્જથી લઈને વેસ્ટ મેનેજમેન્ટ સુધીના વ્યાપક પડકારોનો સામનો કરવામાં પણ ડિઝાઇનિંગ ક્ષેત્ર ઇનોવેટિવ આઇડિયાઝ સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. દુનિયા ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ ડિઝાઇન્સનું સ્વાગત કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે હેન્ડલૂમ, હેન્ડિક્રાફ્ટ, આર્ટ-આર્કિટેક્ચર સહિત આપણી પાસે ડિઝાઇનિંગની પણ ભવ્ય કલા-વિરાસત છે. ડિઝાઇનિંગની આપણી આ વિરાસતને આધુનિક સમય સાથે જોડીને પુનઃ વિકસિત કરવાની એક મોટી તક આપ સૌની પાસે છે.
મુખ્યમંત્રીશ્રીએ આધુનિક અને ઐતિહાસિક એવા અમદાવાદ મહાનગરની વિશેષતાઓ અને રચનાત્મક અભિગમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમદાવાદ શહેરમાં ભણીને દેશના વિદ્યાર્થીઓ ‘લોકલ ફોર વોકલ’ના સૂત્રને સાર્થક કરશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. આ સમય સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિ-સ્કિલિંગનો છે, આપણે તેને અનુસરવું જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજના સમયમાં માંગ અને નોકરીની પેટર્ન બદલાઈ રહી છે, ત્યારે આપણે આપણી કુશળતાને પણ અપગ્રેડ કરવી પડશે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે ઉદ્યોગ, સંશોધન અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ માટે સમય સાથે સુસંગત રહેવું અને બદલાતા વૈશ્વિક પ્રવાહોને સમજવું અત્યંત આવશ્યક છે.
મુખ્યમંત્રીશ્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન સંસ્થાના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન સંદર્ભે કહ્યું કે એન.આઈ.ડી.એ પાંચ દાયકાઓથી અનેક પ્રતિષ્ઠિત ડિઝાઇનર્સની રાષ્ટ્રને ભેટ આપીને રાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોની પ્રગતિ અને વિકાસમાં પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન આપતું રહ્યું છે.
: કેન્દ્રીય મંત્રીશ્રી પીયૂષ ગોયલ :
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આપ સૌ અહીંથી પોતાના જીવનના શિલ્પકાર તરીકે નીકળી રહ્યા છો તે આનંદની વાત છે. આપની મહેનત અને કામથી આગામી સમયમાં આ સંસ્થા, પરિવાર અને દેશનું નામ ઉજ્જવળ કરશો એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. NID દ્વારા આયોજિત એક્ઝિબિશનની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.
મંત્રીશ્રીએ ડિઝાઇન ક્ષેત્રે વાત કરતા કહ્યું કે, આપણા ઇતિહાસ અને આધ્યાત્મિક તરફ જોશો તો ડિઝાઇનની મહત્વતા અને તેના સંદેશ વિશેનો ખ્યાલ આવશે. દેશના અનેક પ્રાચીન અને પૌરાણિક મંદિરો તથા શિલ્પ-સ્થાપત્યો નિહાળશો, તો તેમાં ડિઝાઇન મુખ્યસ્થાને હશે તેવું મંત્રીશ્રીએ કહ્યું હતું. તેમણે ડિઝાઇનના પ્રભાવ વિશે જણાવતા કહ્યું કે ડિઝાઇન એ એથલેટિક્સ નહીં પરંતુ ઈનોવેશન છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આજે સ્પેસથી લઈ સેમિકન્ડકટર ક્ષેત્રે થયેલ ડિઝાઇનની વિશેષતાથી આપણે સૌ વાકેફ છીએ. તેમણે સ્પેસ મિશનમાં થયેલ કામગીરી વર્ણવી હતી જે દેશ-વિદેશમાં વખાણાઈ હતી. મંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે, આજે દુનિયાને ટક્કર આપવાની તાકાત ભારત દેશમાં છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓના કાબેલિયત પર વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, આપ સૌ સફળતાની નવી ઉંચાઈઓ પર પહોંચશો.
: કેન્દ્રીય મંત્રીશ્રી જીતિનપ્રસાદ :
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જીતીન પ્રસાદ એ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન એ રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સંસ્થાન છે. એન.આઇ.ડી વર્તમાન વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સફળ પ્રયાસો કરી રહ્યું છે. એન.આઇ.ડી એ ભારતની સંસ્કૃતિ ડિઝાઇનની વિરાસત, મિનિમમ કાર્બન ફૂટપ્રિન્ટ અને સિમ્પલ લિવિંગના સિદ્ધાંતોને વધુ વ્યાપ આપ્યો છે, વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ડાયરેકટર શ્રી અશોક મોંડલે આજે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇને હંમેશા વિવિધ ક્ષેત્રોમાં મહત્વના સમાધાનો પૂરા પાડીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે.
‘ડિઝાઇન ઈન ઈન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ‘ની થીમ સાથે યોજાઈ રહેલો આજનો પદવીદાન સમારોહ નેશન બિલ્ડિંગ અને નેશન ડેવલપમેન્ટ ક્ષેત્રે સંસ્થાના યોગદાનને ઉજાગર કરે છે. સાથે જ, તેમણે પદવીદાન સમારોહની વિગતો આપતા સંસ્થાના ભવ્ય ઇતિહાસ, વારસો અને મૂલ્યોને પણ વર્ણવ્યા હતા.
રાષ્ટ્રપતિશ્રી સહિતના મહાનુભાવોએ સંસ્થાના કેમ્પસમાં પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના ૪૪મા પદવીદાન સમારોહમાં કુલ ૪૩૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ૧૦૨ સ્નાતક વિદ્યાર્થીઓને, ૩૨૩ અનુસ્નાતક વિદ્યાર્થીઓને અને ૫ સ્કોલર્સને પી.એચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.
પદવીદાન સમારોહમાં ડિઝાઇન, લીડરશીપ અને કોમ્યુનિટી એંગેજમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા બદલ સંસ્થાના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને શાંતા કેશવન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં ડિઝાઇન ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન અને સિદ્ધિઓ બદલ એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ‘પ્રાઇડ ઓફ એનઆઈડી‘ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્યસચિવ શ્રી પંકજ જોષી, ડીજીપી શ્રી વિકાસ સહાય, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સાંસદ શ્રી દિનેશ મકવાણા, જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમાર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ તથા NID સંસ્થાના ડીન, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.