ઓડિશા ટ્રેન દુર્ઘટના: એક અધિકારી સહિત પાંચ લોકોની અટકાયત

(એજન્સી)ભુવનેશ્વર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઈ) એ રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં ૨ જૂને ૨૮૮ લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં પાંચ લોકોની અટકાયત કરી હતી. આ પાંચ લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ કથિત રીતે બહાનગા એએસએમની અટકાયત કરી છે.
અહેવાલો મુજબ, અકસ્માતની તપાસ દરમિયાન સીબીઆઈએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. નોંધનીય છે કે ૨ જૂને થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.
સીબીઆઈની ૧૦ સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે જ્યારે આ મામલાને લગતા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
લગભગ નવ અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈન્ચાર્જ હતા તેઓ હવે સીબીઆઈના સ્કેનર હેઠળ છે. સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બહાનગા બજાર પોલીસ સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે જ્યારે વૈજ્ઞાાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૃમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે.
જ્યાં સુધી સીબીઆઈ તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકાવાની મંજૂરી અપાશે નહીં. આ તપાસના સંદર્ભમાં, દક્ષિણ-પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) એ શનિવારે કહ્યું હતું કે આગળના આદેશો સુધી બહાનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાશે નહીં.
નોંધપાત્ર વાત એ છે કે, દુર્ઘટના બાદથી સીબીઆઈની ટીમ બાલાસોરમાં કેમ્પ કરી રહી છે. સીબીઆઈની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. સીબીઆઈની ટીમ સતત બહાનગા બજાર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ રહી છે. તપાસ દરમિયાન સીબીઆઈએ સ્ટેશનમાં હાજર વિવિધ કમ્પ્યુટર્સની હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરી છે. આ સિવાય ઘણા મહત્વપૂર્ણ તથ્યો પણ એકત્રિત કરવામાં આવ્યા છે.