ખેડૂતો અને પશુપાલકોને Rupay KCC કાર્ડ અર્પણ

બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી અને બનાસ બેંકની વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શુભારંભ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા સાથી મંત્રીશ્રીઓ સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પશુપાલકો અને ખેડૂતો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે, અમદાવાદ, રાજકોટ, સુરત જિલ્લાની મંડળીઓને માઈક્રો એટીએમ કાર્ડ તથા ખેડૂતો અને પશુપાલકોને Rupay KCC કાર્ડ અર્પણ કર્યાં તેમજ બનાસ ડેરીની ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કર્યું. માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સહકારી સંસ્થાનું નાણું સહકારી સંસ્થાઓના માધ્યમથી લોકકલ્યાણ માટે કામ આવે, એક પણ રૂપિયો વિદેશમાં ન જાય
અને રૂપે કાર્ડ જેવી સ્વદેશી વ્યવસ્થા વધારે મજબૂત બને તેવા અનેક લક્ષ્યો નવતર પહેલથી સિદ્ધ થઈ રહ્યા છે. પોષણયુક્ત જીવન એ જ પ્રગતિનો પાયો છે, ત્યારે બનાસ ડેરી આ દિશામાં આગળ વધી ઓર્ગેનિક ઉત્પાદન લઈને આવી છે, જેને હું બિરદાવવા સાથે બનાસ ડેરીને અભિનંદન પાઠવું છું.
લોકોના વિશ્વાસનું વળતર વિકાસથી આપવાની પ્રણાલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે, ત્યારે આવો, આપણે સૌ અમૃતકાળને સમગ્ર સહકાર ક્ષેત્રનો પણ અમૃત યુગ બનાવીએ અને વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સહકારથી સમૃદ્ધિના માધ્યમથી સાકાર કરીએ.