પેથાપુરમાં મૃત પશુનાં કંકાલ મુદ્દે સરકારને જવાબ રજૂ કરવા આદેશ
અમદાવાદ, મૃત પશુઓના કપાયેલા અંગો અને ખેંચાયેલા ચામડાને પેથાપુરના જાહેર રોડ પર ફેંકવાના મામલે હાઈકોર્ટે જિલ્લા કલેકટરને જવાબ રજુ કરવા આદેશ કર્યો હોવા છતાંય કોઈ જવાબ રજૂ નહીં કરાતા અને સરકાર તરફથી મુદત માંગતા કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે જવાબ રજૂ કરવા માટેની છેલ્લી તક આપીને કેસની સુનાવણી રપમી જુલાઈના રોજ મુકરરકરી છે.
આ કેસમાં હાઈકોર્ટની ખંડપીઠે ફેબ્રુઆરીમાં રાજય સરકારને નોટિસ પાઠવી કલેકટરનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો, તે ઉપરાંત અરજદાર દ્વારા ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ કે સંબંધિત ઓથોરિટી સમક્ષ મૃત જાનવરોનું ચામડું, હાડકા અને અંગો દૂર કરવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં શું પગલાં લેવામાં આવ્યા એનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
પેથાપૂરના સ્થાનિકો દ્વારા થયેલી રિટમાં જણાવ્યું હતું કે પેથાપુર રોડ પર જાહેરમાં આજે પણ પશુઓના ચામડા અને અંગો કાઢવાનું કામ જાહેરમાં થાય છે, જે જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે, બેફામ દુર્ગંધ અને પ્રદુષણથી આ સમગ્ર વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
આ કેસમાં હાઈકોર્ટે અગાઉ આદેશમાં નોંધ્યું હતું કે, અરજદારોની પેથાપુર ગાંધીનગર જિલ્લામાં જમીન છે. તેમનું કહેવું છે કે પ્રતિવાદીઓ દ્વારા સ્વાસ્થ્યને નુકસાન થાય એ પ્રકારનું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણને પણ નુકસાન કરી રહ્યું છે, અરજદાર વર્ષ ર૦૧૮થી ગાંધીનગર કલેકટરને રજૂઆત કરી રહ્યા છે. જાેકે, તેમની કોઈ સુનાવણી થઈ ન હોવાથી તેમણે હાઈકોર્ટ સમક્ષ પિટિશન કરી છે.