Western Times News

Gujarati News

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોના વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએ તુવેર વિશે

ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો

(વડોદરાતા.૦૫ ફેબ્રુઆરી૨૦૨૫ બુધવાર)       રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તુવેરના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીએ.

તુવેરનો વાવેતર સમયઅંતર અને જાતોની પસંદગીઃ-

ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૧ અને ગુજરાત તુવેર -૧૦૩, બી.ડી.એન.-૨, જી.જે.પી.-૧ જેવી સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫થી ૩૦ સેન્ટિમીટરે વાવેતર કરવું.

            રવિ ઋતુ માટે તુવેરની ગુજરાત તુવેર-૧૦૨ જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેન્ટીમીટરે વાવેતર કરવું.

બીજ સંસ્કાર અને ઘન જીવામૃતઃ-

સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા તુવેરના બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું,

ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો. પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.

જીવામૃતનો જમીનમાં ઉપયોગઃ-

વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યારબાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.

જીવામૃતનો પાક ઉપર છંટકાવઃ-

પ્રથમ છંટકાવ:- વાવેતરના એક મહિના પછી ૫ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.

બીજો છંટકાવ:-  પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.

ત્રીજો છંટકાવ:-   બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો

ચોથો છંટકાવ:-  ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો

પાંચમો છંટકાવ:- ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો

છઠ્ઠો છંટકાવ:- પાંચમા છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.

રોગ-જીવાતઃ-

(ક) ચૂસીયા પ્રકારની જીવાત: ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. (ખ)  લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત કરી  છંટકાવ કરવો. (ગ)  કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો.(ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે : ૩ લીટર અગ્નિઅસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. (ચ) ફૂગના રોગ : ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.

આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારેચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.