વિશાલાથી સરખેજ ચોકડી સુધીનો ઓવરબ્રીજ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવાશે

AI Image
અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫.૩૯ કરોડ રકમના કામની તા. ૧૧ માર્ચ ૨૦૨૪એ મંજૂરી આપવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીશ્રી વતી માર્ગ અને મકાન વિભાગનો જવાબ આપતા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, આ ૧૦.૬૩ કી.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જે આ બ્રીજ બનવાથી ઓછી થશે.
વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ ૧૬ માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે તેમ, મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.