પાલડી જલારામ પરોઠા હાઉસના શાકમાંથી ઈયળ નીકળતા કોર્પોરેશને સીલ માર્યું

કુબેરનગર ખાતેના દેહલ બેવરેજીસ, મણીનગર ખાતેના બાલાજી ગૃહ ઉદ્યોગ અને નારણપરા ખાતે ફ્રેશ ચીકન શોપમાં અનહાઈજેનિક કન્ડીશન જણાતા એકમ સીલ કરવામાં આવ્યા છે.
(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગે છેલ્લા બે સપ્તાહમાં ૨૪૯ શંકાસ્પદ ખાદ્ય નમુના લઈ તપાસ માટે મોકલ્યા છે. આ ઉપરાંત ૮૯૫ એકમોની તપાસ કરી ૨૬૨ એકમોને નોટિસ ઈશ્યુ કરી છે.
ફુડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના નમુના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૯ એકમોના ૧૧ નમુના અપ્રમાણિત જાહેર થયા છે. જેમાંથી પનીરના ૭ નમુના અપ્રમાણિત જાહેર થયા હોવાનું સામે આવ્યું છે. ફુડ વિભાગ દ્વારા એકમોની તપાસ દરમિયાન અનહાઈજેનિક કન્ડીશન જણાતા ૫ એકમોને સીલ કરવામાં આવ્યા છે. જેમાં પાલડી જલારામ પરોઠા હાઉસનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટેમેન્ટ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાંથી ફુડ વિભાગની ટીમ દ્વારા ૨૪૯ શંકાસ્પદ નમુના તપાસ માટે લીધા હતા. તપાસ માટે જે નમુના લીધા તેમાં દુધ અને દૂધની બનાવટના ૨૩, મીઠાઈ ૧, બેકરી પ્રોડક્ટસ ૪, બેસન ૩, કેરીનો રસ, મોસંબી જ્યુસ ૩૧, ઠંડાપીણા ૧૦, ખાદ્યતેલ ૩, મસાલા ૧૯ અને અન્ય ૧૫૫ શંકાસ્પદ નમુના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
ફુડ વિભાગની ટીમ દ્વારા ૨૯ માર્ચથી ૧૨ એપ્રિલના બે સપ્તાહના સમયગાળા દરમિયાન ૮૯૫ ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૬૨ એકમોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. ફડ વિભાગની ટીમે ૫૪૦ કિ.ગ્રા તથા ૫૯૯ લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. વહીવટી ચાર્જ પેટે રૂ. ૩.૯૪ લાખ વસુલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ જ સમયગાળા દરમિયાન ૧૮૪૯ લાયસન્સ ઈસ્યુ કરાયા હતા અને તેની ફી પેટે રૂ. ૧૩.૫૩ લાખની આવક થઈ છે.
ફુડ વિભાગ દ્વારા પાંચ જેટલા એકમોને પણ સીલ કરવામાં આવ્યા છે. જેમાં નરોડા રોડ ખાતે આવેલી શિવશંભુ ડેરી પ્રોડક્ટસની તપાસ દરમિયાન અનહાઈજેનિક કન્ડીશન મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાલડી ખાતે જલારામ પરોઠા હાઉસ ખાતે સબ્જીમાંથી ઈયળ નિકળવાની ફરિયાદ તેમજ તપાસ દરમિયાન અનહાઈજેનિક કન્ડીશન મળી આવતા એકમ સીલ કરાયો છે. કુબેરનગર ખાતેના દેહલ બેવરેજીસ, મણીનગર ખાતેના બાલાજી ગૃહ ઉદ્યોગ અને નારણપરા ખાતે ફ્રેશ ચીકન શોપમાં અનહાઈજેનિક કન્ડીશન જણાતા એકમ સીલ કરવામાં આવ્યા છે.
ફુડ વિભાગ દ્વારા તપાસ માટે મોકલવામાં આવેલા નમુના પૈકી ૯ જેટલા એકમોના ૧૧ નમુના અપ્રમાણિત જાહેર થયા હોવાની વિગતો પણ સામે આવી છે. અપ્રમાણિત જાહેર થયેલા નમુના અંગે બિઝનેસ ઓપરેટરોને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે નોટિસ આપી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ વર્ષ દરમિયાન ફુડ વિભાગે તપાસ માટે મોકલેલા નમુના પૈકી કુલ ૨૬ જેટલા નમુના અપ્રમાણિત જાહેર થયા છે.
કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જાહેર આરોગ્યને ધ્યાનમાં લઈને આઈસક્રીમ, લસ્સી, કેરીનો રસ, શેરડીનો રસ, ઠંડાપીણા, મીઠાઈઓ, નમકીન વગેરે અંગે તપાસ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો સામે પણ તપાસ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.