પાંટા ગામે મગરના કારણે મૃત્યુ પામનાર પરિવારજનોને પાંચ લાખની સહાયનો ચેક અપાયો

(માહિતી) લુણાવાડા, ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે. આ ઉકિત વિરપુર તાલુકાના પાંટા ગામે રહેતા પૂંજાભાઇ પગીના પરિવાર સાથે બનવા પામી છે. વિરપુર તાલુકાના પાંટા ગામે રહેતા ૫૫ વર્ષિય પૂંજાભાઇ પગી કે જેઓ વ્યવસાયે ખેતી કરવાની સાથે તેમના રોજ-બરોજના ક્રમ મુજબ ગામના તળાવના કિનારા પાસે પોતાના બકરા ચરાવવા ગયા હતા, ત્યારે તેઓને ખબર નહોતી કે તેઓ આજે ઘરે પરત નહીં ફરે.
બન્યું એવું કે, તેઓ તળાવના કિનારા પાસે બકરાં ચરાવતા હતા તે દરમ્યાન અચાનક તળાવમાંથી બહાર આવેલ મગરે પૂંજાભાઇ પર હુમલો કરી તળાવના પાણીના પ્રવાહમાં ખેંચી જઇને આ પૂંજાભાઇનું મારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગ દ્વારા પૂંજાભાઇ પગીની શોધખોળ કરતાં ભારે જહેમતના અંતે ત્રણ કલાક બાદ તેમનો મરણ પામેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારના મોભી એવા પૂંજાભાઇ પગીનો મૃતદેહ મળી આવતાં જાણે કે તેમના પરિવારજનો પર આભ તૂટી પડયું હોય તેમ પરિવાર ગમગીન થઇ ગયો હતો. આ સમય દરમિયાન બનાવની જાણ થતાં પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ અને મહીસાગર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પીનાકીન શુકલએ તાબડતોબ સ્થળ ઉપર પહોંચી જઇને પરિવારજનોને સાંત્વના પાઠવીને રાજય સરકાર દ્વારા મળતી તમામ મદદ-સહાય અપાવવાની ખાત્રી આપી એટલુ જ નહીં
પરંતુ આ બનાવની સંબંધિત વિભાગને જાણ કરી રાજય સરકાર દ્વારા જે કોઇ સહાય મળવાપાત્ર થતી હોય તે સહાય સત્વરે ચૂકવવામાં આવે તે અંગેની સૂચના આપી હતી.
વન વિભાગ દ્વારા પરિવારજનો પાસેથી જરૂરી આધાર-પુરાવાઓ મેળવીને પરિવારજનોને સત્વરે સહાય મળે તે રીતે કામગીરી હાથ ધરી હતી અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા મળવાપાત્ર થતી સહાયનો રૂા. પાંચ લાખનો ચેક પૂંજાભાઇ પગીના પત્નીને રૂબરૂમાં મળી સાંત્વના પાઠવીને
સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પીનાકીન શુકલના હસ્તે આપવામાં આવ્યો હતો. પૂંજાભાઇ પગીના પરિવારજનોને આ સહાયનો ચેક આપવામાં આવ્યો ત્યારે પરિવારજનોને સાંત્વના પાઠવતા મહીસાગર જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી નેવીલ ચૌધરી જણાવ્યું હતું કે, વન્યજીવ હુમલા માં માનવ મૃત્યુ સબબ વળતર ચુકવવાની સરકારશ્રીની યોજના અનુસાર સહાય ચુકવવામાં આવેલ છે.