મારું કન્ટેટ બાળકો જુએ તેમાં પેરેન્ટ્સની નિષ્ફળતાઃ સમય રૈના

બાળકોને નિયંત્રણમાં રાખવાની જવાબદારી કન્ટેન્ટ ક્રીએટર્સની નહીં, પેરેન્ટ્સની છે
યુ ટ્યૂબ શોમાં અશ્લીલ ટિપ્પણી મામલે સમય રૈના અને રણવીર અલાહાબાદિયા ચર્ચામાં આવ્યા હતા
મુંબઈ, કોમેડિયન સમય રૈનાને ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ વિવાદે દેશભરમાં જાણીતો બનાવ્યો છે. યુ ટ્યૂબ ચેનલ પરથી આ શોના તમામ એપિસોડ હટાવી દીધા પછી સમય રૈનાએ નવા ઈન્ટરનેશનલ શોની જાહેરાત કરી છે. કરિયરમાં નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા સમય રૈનાનો આખાબોલો સ્વભાવ ફરી એક ચર્ચામાં આવી ગયો છે. પોડકાસ્ટર ફૂડ ફાર્મરે શોમાં વાતચીત દરમિયાન સમય રૈનાને ઓડિયન્સ પ્રત્યે જવાબદારી અંગે સવાલ પૂછ્યો હતો. જવાબમાં રૈનાએ કહ્યું હતું કે, માત્ર પાણીને પ્રમોટ કરવા માટે ઈન્ફ્લુએન્સર્સે જાહેરમાં કોક પીવાનું ટાળવું જોઈએ? ફૂડ ફાર્મરે વાત આગળ વધારતા કહ્યું હતું કે તેનાથી ૮-૧૦ વર્ષના બાળકોના વર્તન પર અસર પડી શકે છે.
રૈનાએ તરત જ વાત પકડી લીધી હતી અને જણાવ્યુ હતું કે, આ ઉંમરના બાળકો મને જોતા હોય તો, તેમાં તેમના માતા-પિતાનો વાંક છે. સમય રૈનાએ પોતાના બાળપણની વાત કરતા જણાવ્યું હતું કે, તેના પિતાએ ટીવી જોવા પર મર્યાદાઓ મૂકેલી હતી. જેના કારણે નાની ઉંમરે ટીવીનો પ્રભાવ તેના પર આવ્યો ન હોતો. બાળકો શું જોઈ રહ્યા છે? તેની જવાબદારી પેરેન્ટ્સે લેવી જોઈએ. તેમણે કન્ટેન્ટ ક્રીએટર્સ પર આ બોજ નાખવો જોઈએ નહીં. નાના વ્યૂઅર્સ માટે ફિલ્ટર્ડ ઈમેજ રજૂ કરવાના બદલે ઈમાનદારીને પ્રમોટ કરવાનું અને પોતાની જાત પ્રત્યે નિષ્ઠાવાન રહેવું વધારે જરૂરી છે.
યુ ટ્યૂબ શોમાં અશ્લીલ ટિપ્પણી મામલે સમય રૈના અને રણવીર અલાહાબાદિયા ચર્ચામાં આવ્યા હતા. આ શોની નોંધ છેક સુપ્રીમ કોર્ટ સુધી લેવામાં આવી હતી. આ મામલાની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે સમય રૈનાએ તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના તમામ એપિસોડ યુ ટ્યૂબ પરથી હટાવી લીધા છે. તેણે નવેસરથી કરિયરની શરૂઆત કરી છે, પરંતુ નવી ઈનિંગમાં પણ તે નૈતિકતા કે બોધપાઠના બદલે માત્ર કન્ટેન્ટના વ્યૂઝ વધારવાને પ્રાથમિકતા આપી રહ્યો હોય તેમ જણાય છે. SS1