ફ્રાંસમાં પણ યુપીઆઈથી કરી શકાશે પેમેન્ટ

નવી દિલ્હી, પીએમ મોદી હાલ ફ્રાંસની મુલાકાતે છે. અહીં પીએમ મોદીનું લીઝન ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનારા તેઓ પહેલાં ભારતીય બન્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIના ઉપયોગને લઈ ભારત અને ફ્રાંસ વચ્ચે એક મોટી સહમતિ થઈ છે. જેના પરિણામે હવે તેનો ઉપયોગ ફ્રાંસમાં પણ કરી શકાશે. જેના કારણે હજારો ભારતીયોને ફાયદો થશે અને એક મોટુ બજાર પણ ઉભુ થશે.
પીએમ મોદીએ અહીં એક કલા કેન્દ્રમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, ટૂંક જ સમયમાં ભારતીય પર્યટકો એફિલ ટાવર પાસે યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. યુપીઆઈને લઈ ભારત અને ફ્રાંસ વચ્ચે એક સમજૂતી થઈ છે. જેની શરુઆત એફિલ ટાવરથી કરવામાં આવશે.
જેથી હવે અહીં આવતા ભારતીય પર્યટકો યુપીઆઈ દ્વારા અહીં પેમેન્ટ કરી શકશે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૨૨માં યુપીઆઈ સેવા આપતી મુખ્ય સંસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફ્રાંસની ઝડપી અને સિક્યોર ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ લાયરા સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. જ્યારે પીએમ મોદી અહીં પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ મોદી, મોદી…સહિત ભારત માતા કી જયના પણ નારા લગાવ્યા હતા.
ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં ફ્રાંસમાં મહાન તમિલ દાર્શનિક તિરુવલ્લુવરની એક પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. બીજી એક મહત્વની વાત એ કહી કે, સ્નાતક ઉપરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને હવે પાંચ વર્ષના વિઝા આપવામાં આવશે, એવો પણ ર્નિણય લેવામાં આવ્યો છે.
તો પીએમ મોદીએ ભારતીય સમુદાયને ભારતમાં રોકાણ કરવા માટેની પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે મોટાભાગની રેટિંગ એજન્સી એવું કહી રહી છે કે, ભારત એક ઉજ્જવળ સ્થળ છે. હવે તમે ભારતમાં રોકાણ કરો. આ જ એક સાચો સમય છે. જે લોકો જલ્દી રોકાણ કરશે તેઓને લાભ થશે. આ સાથે જ પીએમ મોદીએ ફ્રાંસ સાથે છેલ્લાં ચાર દાયકાથી ચાલી રહેલાં સંબંધો પણ વાગોળ્યા હતા.
એ સમયે તેઓ ૧૯૮૧માં અમદાવાદમાં એલાયન્સ ફ્રેંકેઈસ સેન્ટરના પહેલાં સભ્ય બન્યા હતા. પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, ફ્રાંસ પ્રત્યે મારો જૂનો લગાવ છે. હું તેને ક્યારેય ન ભૂલી શકું.
લગભગ ૪૦ વર્ષ પહેલાં અમદાવાદમાં ફ્રાંસનું એક સાંસ્કૃતિક કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. અને એ જ કેન્દ્રના પહેલાં સભ્ય આજે તમારી સાથે વાત કરી રહ્યા છે. લોકતંત્ર જ ભારતની સૌથી મોટી શક્તિ છે. ભારતમાં ૧૦૦થી પણ વધુ ભાષાઓ, ૧૦૦૦થી પણ વધુ બોલીઓ અને આ જ ભાષાઓમાં રોજે રોજ ૩૨,૦૦૦થી પણ વધુ ન્યૂઝપેપર્સ પબ્લિશ થાય છે. તો પેરિસમાં પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે, મારા શરીરનો કણ કણ તમારા માટે છે.
આજનો આ નજારો ખૂબ જ અદ્ભૂત છે. દેશથી દૂર જ્યારે હું વિદેશમાં ભારત માતા કી જય સાંભળું છું ત્યારે એવું લાગે છે કે હું મારા ઘરે આવ્યો હોઉં. ભારતીયો જ્યાં પણ જ્યા એક મીની ઈન્ડિયા બનાવી લે છે. સાથે જ ચંદ્રયાન ત્રણનું લોન્ચિંગ પણ થવા જઈ રહ્યું છે. ભારતમાંથી આનું ઐતિહાસિક લોન્ચિંગ થશે.SS1MS