દિવાળી અગાઉ રાજકોટમાં પાણીકાપથી લોકોને હાલાકી પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Nal-se-jal-water.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી, દિવાળી પહેલા રાજકોટના લોકોને પાણીકાપનો સામનો કરવો પડી શકે છે. મળતી જાણકારી અનુસાર, દિવાળી પહેલા રાજકોટના વોર્ડ નંબર ૭, ૧૧ અને ૧૭માં ગુરુવારે પાણીકાપ રહેશે. પાઈપલાઈનમાં લીકેજ થતા સમારકામની કામગીરી હાથ ધરાશે જેના કારણે પાણી કાપ રહેશે.
ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં એસ.ટી. વર્કશોપ પાસે રેલ્વે ક્રોસિંગમાં ઘણી જ જૂની લીકેજ લાઈન બદલવાની હોવાના કારણે ભાદરડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રીપેરિંગ કરવાની કામગીરીને લઈને પાણી કાપ રહેશે.
ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નંબર સાત લાલબહાદુર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નંબર ૧૭ અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નંબર ૧૧માં પાણી વિતરણ બંધ રહેશે. દિવાળી પહેલા જ પાણી કાપ મુકવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ અડધો ખાલી થયો હતો. મનપાએ આજી અને ન્યારી ડેમ માટે ૨૪૦૦ એમસીએફટી પાણીની સરકાર પાસે માંગણી કરી હતી.આજી ડેમમાં ૧૫ નવેમ્બર સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો છે. જ્યારે ન્યારી ડેમમાં ૩૧ માર્ચ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે.SS1MS