પીરાણા નજીક આવેલા ગણેશનગર ખાતે વસાહતમા પીવાના પાણીના ફાંફા

આ સ્થળે મ્યુનિસિપલ તંત્રની રહેમનજર હેઠળ મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે
અમદાવાદ, નલ સે જલ’ અને દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સરકાર અને સ્થાનિક તંત્ર પ્રજા સુધી પીવાનું પાણી પણ પહોંચાડી શકતી નથી. આઝાદીના સમયમાં નહીં પણ ઔદ્યોગિક રીતે સૌથી સમૃદ્ધ ગુજરાતમાં આ સ્થિતિ વિકાસની વાતોને પોકળ પુરવાર કરી રહી છે.
સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ શરૂ કરાયો હતો. વર્ષ-૨૦૦૧ પછી પ્રોજેકટની કામગીરી માટે નદી કાંઠા ઉપર ઝૂંપડા બાંધી રહેતા લોકોને પીરાણા નજીક આવેલા ગણેશનગર ખાતે વસાહતમાં આવાસની ફાળવણી કરાઈ હતી. હાલમાં આ સ્થળે ૧૫૦૦થી વધુ લોકો રહે છે.
જેમને પીવાના પાણી મેળવવાના પણ ફાંફા છે. લાંબા સમયથી આ લોકોને પીવાનુ પાણી પુરું પાડતો બોર બંધ પડતા ટેન્કરથી પાણી આપવામાં આવે છે. લાભના કામ કવોટેશનથી આપતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો આ રહેવાસીઓ માટે નવો બોર બનાવવા હજુ સુધી મંજૂરી આપી શકયા નથી.
પીરાણા નજીક ગણેશનગર ખાતે એક સમયે અંદાજે ૧૭૦ લોકોને આવાસ ફળવાયા હતા. સમય જતા આ સ્થળે મ્યુનિસિપલ તંત્રની રહેમનજર હેઠળ મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે. નલ સે જલ જેવી યોજના થકી દરેક ઘરમાં પાણી પહોંચાડવાની ગુલબાંગ હાંકતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને ગણેશનગર જેવી વસાહતમાં રહેતા લોકોને પીવાનું પાણી મળી રહે
એ બાબતમાં કોઈ રસ દેખાતો નથી તેથી ટેન્કરથી પાણી પુરૂ પડાઈ રહયુ છે . અહીં ટેન્કર આવતા જ રોજ પાણી મેળવવા માટે પડાપડી થતાં ઝઘડા થાય છે.
અનેક લોકો બહારથી પાણી લાવીને વાપરી રહયા છે. વસાહતમાં રહેતા લોકોને ગટર અને પાણી જેવી સગવડ પણ મળી રહી નથી. પાણી મેળવવા ટેન્કર આવતા જ બાળકો સહિત સમગ્ર પરિવાર પાણી ભરવા ટેન્કર આસપાસ ગોઠવાઈ જાય છે.