Western Times News

Gujarati News

PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે અચાનક મુલાકાત કેમ કરી?

અટકળો ચાલી રહી છે કે શું દેશમાં ફરી કંઈક મોટું થવાનું છે?-જે.પી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બેઠક

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં આ દિવસોમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો મચી ગયો છે. સંસદમાંથી પસાર થયેલા આ નવા કાયદાને લઈને વિરોધ પ્રદર્શનની આગમાં એક તરફ પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો ભડકે બળી રહ્યા છે, તો બીજી તરફ આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે.

આ દરમિયાન દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની તાજેતરની ગતિવિધિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અટકળો ચાલી રહી છે કે શું દેશમાં ફરી કંઈક મોટું થવાનું છે?

શું આ બેઠકો કોઈ મોટા રાજકીય ફેરફારની તૈયારીનો ભાગ છે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને ગઈ રાત્રે એક હાઈ-પ્રોફાઈલ બેઠકે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓની આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા નેતાઓની હાજરી એ દર્શાવે છે કે ચર્ચામાં રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પણ સામેલ હોઈ શકે છે. આ ઉપરાંત, પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવની હાજરી આર્થિક અને માળખાગત મુદ્દાઓ તરફ ઈશારો કરે છે.

કેટલાક જાણકારોનું માનવું છે કે આ બેઠક મંત્રીમંડળના વિસ્તરણ અથવા ફેરબદલની શક્્યતાને પણ બળ આપે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ મુલાકાત પણ લગભગ એક કલાક સુધી ચાલી. જોકે, આ મુલાકાતનો સત્તાવાર એજન્ડા સામે આવ્યો નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.