વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર RSS હેડક્વાર્ટર પહોંચ્યા મોદી

નાગપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ વર્ષમાં પ્રથમવાર નાગપુર સ્થિત RSS મુખ્યાલય પહોંચ્યા હતા. ૩૦ માર્ચ સવારે અહીંના સ્મૃતિ મંદિરમાં તેમણે RSSના સંસ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ સ્મૃતિ મંદિરની વિઝિટર બુકમાં એક સંદેશની સાથે હસ્તાક્ષર પણ કર્યા છે. તેમણે લખ્યું- ‘પરમ પૂજનીય ડો. હેડગેવાર અને પૂજ્ય ગુરૂજીને શત્-શત્ નમન.
‘તેમની યાદોને યાદ કરવા આ સ્મૃતિ મંદિરમાં આવીને હું અભિભૂત છું. ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને સંગઠનના મૂલ્યોને સમર્પિત આ સ્થાન આપણને રાષ્ટ્રની સેવામાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
પીએમ મોદીએ લખ્યુ- સંઘના બે મજબૂત સ્તંભોનું આ સ્થળ દેશની સેવામાં સમર્પિત લાખો સ્વયંસેવકો માટે ઉર્જાનો સ્ત્રોત છે. આપણા પ્રયાસોથી મા ભારતીનું ગૌરવ સદાય વધતું રહે.
નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી તથા નાગપુર સાંસદ નીતિન ગડકરીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. આરએસએસ હેડક્વાર્ટરના પ્રવાસ દરમિયાન બંને નેતા પીએમ મોદી સાથે રહ્યા હતા. બિહાર અને બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં જ આરએસએસએ ભાજપ સાથે પોતાનું જોડાણ મજબૂત હોવાનો પુરાવો આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્્યો છે.