PM ઓપરેશન સિંદૂરને રાજકીય રંગ આપી રહ્યાં છેઃ મમતા

ઓપરેશન સિંદૂર પૂરુ નથી થયુંઃ ત્રાસવાદને પ્રોત્સાહન આપનારાઓએ ભારે કિંમત ચૂકવવી પડશે
પાકિસ્તાનને આપણે ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યું છેઃ પીએમ મોદી
નવી દિલ્હી,આપણે પાકિસ્તાનને ત્રણ વાર ઘરમાં ઘૂસીને માર્યું છે અને હજી ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું તેમ જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યાે હતો કે, ત્રાસવાદને પ્રોત્સાહન આપતાં લોકોએ તેમના કૃત્યોની ભારે કિંમત ચૂકવવી પડશે. ચાલુ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરાયેલાં ઓપરેશન સિંદૂર બાદ પશ્ચિમ બંગાળમાં પ્રથમ સભાને સંબોધતા પીએમ મોદીએ ત્રાસવાદ વિરુદ્ધ ભારતના આકરા વલણનો નિર્ધાર વ્યક્ત કરતાં સિંદૂર ખેલાનો ઉલ્લેખ કરી સાથે સિંદૂર સાથે અહીંના લોકોની જોડાયેલી લાગણીઓને ઉજાગર કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ત્રાસવાદીઓએ પહેલગામમાં કરેલાં નૃશંસ હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. સમગ્ર પશ્ચિમ બંગાળમાં શોક અને રોષની લાગણી હતી, હું તમારા આક્રોશને સમજી શકું છું.
ત્રાસવાદીઓએ આપણી બહેનાના કપાળેથી સિંદૂર ભૂંસવાની હિંમત કરી હતી. પરંતુ આપણાં બહાદૂર જવાનોએ તેમને સિંદૂરની શક્તિનો પરચો દેખાડ્યો હતો. બંગાળની આ ભૂમિ પરથી દેશના ૧૪૦ કરોડ નાગરિકો વતી હું જાહેરાત કરું છું કે, ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું. પાકિસ્તાને એ વાત સમજીવી જોઈએ કે, આપણે તેમને ત્રણ વખત તેમના ઘરમાં ઘૂસીને માર્યા છે.પાકિસ્તાનના સૈન્ય સંસ્થાનો પર સીધો હુમલો કરતાં પીએમ મોદીએ પાકિસ્તાન પર ત્રાસવાદને સંસ્થાગત સ્વરૂપ આપવાનો આક્ષેપ કર્યાે હતો. પાકિસ્તાનની સેના ત્રાસવાદ અને નરસંહાર કરવામાં જ પાવરધી છે, કારણકે સામસામેની લડાઈમાં હંમેશા તેણે હારનો સામનો કરવો પડ્યો છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ લેવાનો આક્ષેપ મુક્યો હતો.
આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને સત્તામાંથી બહાર ખદેડી દેવા અંગે બંગાળ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંતા મજુમદારની ટિપ્પણી સામે વળતો જવાબ આપતાં મમતાએ ભાજપને પડકાર ફેંક્યો હતો કે તેઓ આવતીકાલે જ ચૂંટણી લડવા સજ્જ છે. મમતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને આજે કરેલી ટિપ્પણીઓ આઘાતજનક છે. સમગ્ર વિપક્ષ આજે જ્યારે આતંકવાદ મુદ્દે વૈશ્વિક સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે તેવા સમયે વડાપ્રધાન અને તેમના પક્ષના નેતાઓ દ્વારા ઓપરેશન સિંદૂરની જેમ ઓપરેશન બંગાળ હાથ ધરવા અંગે કરાયેલી ટિપ્પણી નિંદનીય છે.SS1