અધૂરા મહિને જન્મેલા બાળકનું તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ નિકળ્યુંઃ વિનામૂલ્યે સારવાર મળી
આયુષ્યમાન કાર્ડને કારણે મારા નવજાત પૌત્રને નવજીવન મળ્યું- નવઘણભાઈ કોળીપટેલ
આયુષ્યમાન ભારત યોજના હેઠળ સાણંદના વસોદરા ગામના લાભાર્થી નવઘણભાઈના અધૂરા મહિને જન્મેલા પૌત્રને વિનામૂલ્યે સરવાર મળી
કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓ માટે કોઈ વરદાનથી કમ નથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ વાનુભાવ વર્ણવી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વસોદરા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન લાભાર્થી નવઘણભાઈ કોળીપટેલે પણ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
નવઘણભાઈના એક પુત્રના ઘરે પારણું બંધાવવાની તૈયારી હતી. પરંતુ કોઈ કારણોસર તેમનો પૌત્ર અધૂરા માસે જન્મ્યો. બાળકનું વજન માત્ર ૧ કિલોગ્રામ જેટલું જ હતું. ડોક્ટરે આ માસૂમ બાળકને કેટલાક દિવસો હોસ્પિટલમાં સઘન સારવાર આપવા દાખલ કરવાની સલાહ આપી. પરંતુ નવઘણભાઈનો પરિવાર સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેટલો સક્ષમ નહોતો.
આ વિટ્મબણા વચ્ચે તેમને ડોક્ટર દ્વારા જ આયુષ્યમાન કાર્ડ કઢાવવાની સલાહ આપી. પરિસ્થિતિ જોતા તેમને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ મળી પણ ગયું. જેનાથી તેમના પૌત્રની ખર્ચાળ સારવાર વિનામૂલ્યે પૂર્ણ થઈ. સારવારનું ૩.૭૫ લાખનું બિલ આયુષ્યમાન યોજના હેઠળ શૂન્ય આવ્યું.
નવઘણભાઈ કહે છે કે, આજે મારો પૌત્ર અને પુત્રવધૂ સ્વસ્થ છે. તેનું કારણ કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે ઋણ વ્યક્ત કર્યું હતું.