ઘર આંગણે ઢગલો રન કરનારા પૃથ્વી શૉ ટીમ ઈન્ડિયામાં ઉપેક્ષાથી નિરાશ
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસની ટી-૨૦, વન ડે તેમજ ટેસ્ટ ટીમનુ ભારતીય ક્રિકેટ બોર્ડે એલાન કરી દીધુ છે. આ માટે ચાર અલગ અલગ ટીમોની જાહેરાત કરાઈ છે પણ એક પણ ટીમમાં પૃથ્વી શોનુ નામ નથી. ઘરઆંગણે રનના ઢગલા કરી રહેલા ઓપનર પૃથ્વી શોને ફરી એક વખત પસંદગીકારોએ નજર અંદાજ કર્યો છે ત્યારે પૃથ્વીની નારાજગી પણ સપાટી પર આવી છે.
નિરાશ થઈ ગયેલા પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરીમાં સાંઈબાબાના ફોટા સાથે લખ્યુ છે કે, આશા છે કે તમે (સાંઈબાબા) તમે બધુ જાેઈ રહ્યા છો. દરમિયાન ચીફ સિલેકટર ચેતન શર્માને પૃથ્વી શો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, પસંદગીકારોની નજરમાંથી પૃથ્વી બહાર નથી પણ તેણે પોતાની તક માટે રાહ જાેવી પડશે.
અત્યારે હાલના ક્રિકેટરોને વધારે તક આપવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તાજેતરમાં રનના ઢગલા કર્યા હતા. જેમાં આસામ સામે ૬૧ બોલમાં ૧૩૪ રનની ઈનિંગનો પણ સમાવેશ થતો હતો.