Western Times News

Gujarati News

મુંબઇ ઈન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચી

અમદાવાદ, પંજાબના કેપ્ટન શ્રૈયસ ઐયરે તનાવભરી સ્થિતિમાં અડીખમ બેટિંગ કરીને રવિવારે અહીં રમાયેલી ક્વોલિફાયર-૨ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૨૦૨૫ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

આમ મંગળવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલમાં તેનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. શ્રેયસ ઐયરે ૪૧ બોલમાં અણનમ ૮૭ રન ફટકાર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા તથા આઠ સિક્સરનો સમાવેશ થતો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને તેની ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૦૩ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં પંજાબ કિંગ્સે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૭ રન કર્યા હતા.મેચ જીતવા માટે ૨૦૪ રનના ટારગેટ સામે રમતાં પંજાબે શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી

. ઓપનર પ્રભસિમરન સિંઘ છ રનના અંગત સ્કોરે ટ્રેન્ટ બોલ્ટના બોલે આઉટ થયો હતો. રિસે ટોપલેએ ફાઇન લેગ પર શાનદાર કેચ ઝડપ્યો હતો.જોશ ઇંગ્લિસ ૨૧ બોલમાં આક્રમક ૩૮ રન ફટકારીને આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને ડાબેરી બેટ્‌સમેન નેહલ વઢેરાએ મજબૂત ભાગીદારી નોંધાવીને મુંબઈની ચિંતામાં વધારો કર્યાે હતો. બંનેએ આઠ ઓવરમાં ૮૪ રનની ભાગીદારી કરી દીધી હતી.

અંતે ૧૬મી ઓવરમાં અશ્વિની કુમારે ટીમને સફળતા અપાવતાં નેહલને આઉટ કર્યાે હતો. તેણે ૨૯ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર અને ચાર ચોગ્ગાનો સમાવેશ થતો હતો. નેહલની વિકેટ બાદની ઓવરમાં ઐયરે તેની અડધી સદી ૨૭બોલમાં પૂરી કરી હતી. લગભગ સવા બે કલાકના વિલંબ બાદ રાત્રે ૯.૪૫ કલાકે મેચનો પ્રારંભ થયો હતો.

અગાઉ પંજાબ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ટોસ બાદ તરત જ વરસાદનું આગમન થઈ ગયું હતું. ત્યાર બાદ વારંવાર વરસાદ પડતો રહ્યો હતો જેને કારણે ગ્રાઉન્ડ સ્ટાફની મહેનત વધી ગઈ હતી. આમ છતાં હવામાન સ્વચ્છ થયા બાદ મેદાન રમત માટે સજ્જ થઈ ગયું હતું. મુંબઈ ઇન્ડિયન્સ માટે જોની બેરસ્ટોએ ઝડપી શરૂઆત કરી હતી.

રોહિત શર્મા તો ત્રીજી ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો પરંતુ બેરસ્ટો અને તિલક વર્માએ બેટિંગ કરી હતી. મુંબઈની ટીમની સમસ્યા એ રહી હતી કે તો કોઈ બેટ્‌સમેન સેટ થયા બાદ ટકી શક્યો ન હતો.

બેરસ્ટોએ ૨૪ બોલમાં બે સિક્સર સાથે ૩૮ રન ફટકાર્યા હતા અને તેની પાસેથી અડધી સદી બાદ પણ લાંબી ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી ત્યારે તે વિજયકુમાર વ્યાશકની બોલિંગમાં આઉટ થયો હતો. અગાઉ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયન બોલર માર્કસ સ્ટોઇનિસે આઉટ કર્યાે હતો પરંતુ પંજાબના કેપ્ટન ટીમને પહેલી વિકેટ અપાવનારા બોલરને ત્યાર પછી એકેય ઓવર આપી ન હતી.

બેરસ્ટોની માફક સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પણ લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ ૪૪-૪૪ રન ફટકાર્યા હતા.તિલક વર્માએ બે સિક્સર અને બે ચોગ્ગા સાથે ૨૯ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા તો યાદવે ૨૬ બોલમાં ૪૪ રન કર્યા હતા જેમાં ત્રણ સિક્સર અને ચાર ચોગ્ગા સામેલ હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.