સાંજ સમાચારના પ્રદિપભાઈ શાહનું પત્રકારિતામાં અડધી સદીનું યોગદાન: મુખ્યમંત્રી

સાંજ સમાચાર દ્વારા રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શ્રી પ્રદિપભાઈને તેમજ સાંજ સમાચાર પરિવારને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી હતી.
સાંજ સમાચાર દ્વારા રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શ્રી પ્રદિપભાઈને તેમજ સાંજ સમાચાર પરિવારને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી હતી.
રાજકોટ, પત્રકારિતા ક્ષેત્રના જાણીતા નામ અને ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદિપભાઈ શાહે તેમના કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે ‘સાંજ સમાચાર’ દ્વારા રાજકોટમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય, સામાજિક અને પત્રકારિતા ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
શ્રી પ્રદિપભાઈ શાહે પત્રકારિતાના ક્ષેત્રમાં નિર્ભય અને વાસ્તવિક સમાચાર પ્રસ્તુત કરવાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. તેમણે નિષ્પક્ષ અને તટસ્થ પત્રકારિતાના માધ્યમથી સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સતત પ્રયત્ન કર્યો છે. તેઓના નિષ્ણાત દૃષ્ટિકોણ અને અનુભવે પત્રકારત્વમાં અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.
આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘સાંજ સમાચાર’ પરિવાર અને શ્રી પ્રદિપભાઈ શાહને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પ્રદિપભાઈના કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે, “પત્રકારિતા એ માત્ર માહિતી પ્રસારવાનું સાધન નથી, પરંતુ તે સમાજની ચેતના જગાડવાની અને સત્યની શોધ કરવાની એક નોબલ જવાબદારી છે, જે પ્રદિપભાઈએ ઉંડાણપૂર્વક નિભાવેલી છે.”
આ કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવોએ શ્રી પ્રદિપભાઈ શાહના કાર્યક્ષેત્રની સફર, તેમના યોગદાન અને પત્રકારિતાના પ્રત્યે તેમની નિષ્ઠાને વધાવી હતી. આ અવસરે, ‘સાંજ સમાચાર’ તરફથી પ્રદિપભાઈ શાહને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ યાત્રા માટે પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓ, સહકર્મચારીઓ અને પ્રશંસકોએ શ્રી પ્રદિપભાઈ શાહને શુભેચ્છાઓ આપી હતી.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાવળદેવ સમાજના 174 પરિવારોને પીપળીયા ગામે ફાળવેલ પ્લોટના સનદનું બુધવારના રોજ રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ એક જ દિવસમાં વિવિધ વર્ગ અને સમાજના લોકોને થયેલ આવાસ અને પ્લોટ ફાળવણીનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના નાગરિકોને સરકારની દરેક યોજનાઓના લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. તેમણે જળ સંચય ઉપરાંત સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતના જનઅભિયાનમાં જોડાઈને ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું હતું.