સુરતમાં દુષ્કર્મના આરોપીનો પોલીસ લોકઅપના બાથરૂમમાં આપઘાત

સુરત, સુરતમાં પોલીસ કસ્ટડીમાં પુત્રી ઉપર દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના મોડી સાજે સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત કર્યાે હતો. ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ઘટનાને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરતમાં ૪૫ વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે, જે પૈકી નાની ૧૭ વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
૪૫ વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. કેસની કાર્યવાહી સાથે સગીર દીકરીનું વિગતવાર નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલાં કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાની પૂછપરછ પણ શરૂ કરી હતી.
મંગળવારે મોડી સાંજે પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.નાયબ પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું હતું કે, મૃતક પોક્સો એક્ટ અને બળાત્કારનો આરોપી છે. આરોપી ઉપર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી હતી.
તેની પૂછપરછ અમે કરી રહ્યા હતા. સરકારી પંચોની સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેએ લોકઅપના બાથરૂમમાં જઈને જાળી સાથે પોતાની શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.SS1MS