Western Times News

Gujarati News

Rathyatra: અમદાવાદમાં 22 હજાર પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત

ભગવાન જગન્નાથજીની રથયાત્રા -સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વોચ,પોલીસે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો

(એજન્સી)અમદાવાદ, અષાઢી બીજે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસે શનિવારે પહેલું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. પોલીસ કમિશનરે રૂટનું નિરીક્ષણ કરીને કેટલાક સૂચનો, આદેશો આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવા કરાયેલી કાર્યવાહીમાં અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરીને વાહનોની તોડફોડ કરી હતી. તે ઘટનાને ધ્યાનમાં લઈને અમદાવાદમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાયો છે.

જૂનાગઢની ઘટનાના કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે અલગ-અલગ એજન્સીઓને ટેક્નિકલ સર્વેલન્સથી માંડી ખાનગી બાતમીદારોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યો, સ્ટેટ રિઝર્વડ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ સહિત લગભગ ૨૨,૦૦૦ પોલીસ અધિકારીઓ શહેરમાં રથયાત્રામાં બંદોબસ્તનો ભાગ રહેશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર રૂટને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યો છે અને રથયાત્રા સરળ રીતે પસાર થાય તે માટે નિવારક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પણ રૂટ પર નજર રાખવામાં આવશે. કારણ કે, જમાલપુર ઉપરાંત શહેરમાં અન્ય રથયાત્રાઓ પણ નીકળે છે.

સેક્ટર-૧ના એડિશનલ સીપી નિરજ બડગુજરે મીડિયાને જણાવ્યું હતું કે તૈયારીઓનું સર્વેક્ષણ કરવા માટેના રૂટ પર ડ્રેસ રિહર્સલ શનિવારે હાથ ધરવામાં આવ્યું હતું. બડગુજરે વધુમાં જણાવ્યું કે, રથયાત્રાના દર્શન માટે લોકો બેરીકેડની પાછળ જ ઉભા રહે તે જાેવા ખાસ સૂચના અપાઈ છે.

શ્રદ્ધાળુઓ રથયાત્રા જાેવા આવે કે મંદિરમાં દર્શન કરવા ત્યારે મોટી બેગ કે સામાન ન લાવે તેવી પોલીસની અપીલ છે. કારણ કે, તે ચેક કરવામાં ખૂબ જ સમય લાગે છે. ભીડ પર વોચ રાખવા માટે ૨૫ ટાવર ઉભા કરાયા છે. ગરમી, બફારાને ધ્યાનમાં રાખી મેડિકલ ફેસિલિટી સાથે ૧૬ એમ્બ્યુલન્સ રૂટ પર તૈનાત રહેશે. ૧૭ જન સહાયતા કેન્દ્રો થકી વિવિધ એનાઉન્સમેન્ટ સહિતની તમામ મદદો પૂરી પાડશે.

એડિશનલ સીપી (ટ્રાફિક) એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ પર સોમવારથી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં આવશે. રથયાત્રામાં વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વીઆઈપી મૂવમેન્ટ પર ધ્યાન અપાશે. ૧૦૦ ટ્રકો સામેલ થશે તેનું પહેલા ફુલબજાર પાછળ પાર્કિંગ કરવામાં આવશે અને ત્યારબાદ નંબર ફાળવી રવાના કરાશે. સરસપુરમાં પણ પાર્કિંગની વ્યવસ્થા છે. આ તમામ કામગીરી ૯ સેક્ટરમાં વહેંચાઈ છે.

સેક્ટર-૨ અધિક પોલીસ કમિશન એસ એસ ભરાડાએ જણાવ્યું કે, લલોકોને પોલીસ તરફથી અપીલ છે કે કોઈએ જર્જરિત મકાનો પર ચડવું નહીં. તેમજ અફવાઓ અને સોશિયલ મીડિયા પર ફરતા મેસેજીસ પ્રત્યે ધ્યાન ન આપવું. સીસીટીવી અને ડ્રોનથી પોલીસ તમામ લોકો પર નજર રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.