RBIના નવા ગવર્નર પદે સંજય મલ્હોત્રાની નિમણૂક

નવી દિલ્હી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર પદે રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હાત્રાની નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની કમિટી દ્વારા મલ્હાત્રાની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી તેઓ આગામી ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે.
આરબીઆઈના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગાઉ શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવવાના અહેવાલો મળ્યા હતા. પરંતુ કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતિ સાથે સંજય મલ્હાત્રાને આ પદભાર સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષ 2022માં જ સંજય મલ્હોત્રાને કેન્દ્ર સરકારે RBI ગવર્નર પદ માટે નોમિનેટ કર્યા હતા. અત્યાર સુધી તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ (DFS)ના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.
સંજય મલ્હોત્રા 1990 બેચના રાજસ્થાન કેડરના વરિષ્ઠ અધિકારી છે. નવેમ્બર 2020 માં, તેમને REC ના અધ્યક્ષ અને MD બનાવવામાં આવ્યા. તેમણે થોડો સમય ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે.
શક્તિકાંત દાસ RBI ગવર્નરનું પદ પૂરા 6 વર્ષ સુધી સંભાળી ચુક્યા છે. જ્યારે ઉર્જિત પટેલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમના પર મોટી જવાબદારી આવી પડી. પરંતુ નિષ્ણાતો માને છે કે જે રીતે શક્તિકાંત દાસે કોવિડ દરમિયાન અને પછી ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી તે પ્રશંસાને પાત્ર છે. હવે સંજય મલ્હોત્રા તેમના કામને આગળ વધારવા જઈ રહ્યા છે, તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો થવાનો છે.