RCBના ટોચના અધિકારીઓની ધરપકડ, અન્ય ૩ પણ કસ્ટડીમાં

File
(એજન્સી)બેંગલુરુ, બેંગલુરુ પોલીસે બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની જીતની ઉજવણી દરમિયાન મચેલી ભાગદોડ મામલે એકની ધરપકડ કરી છે જ્યારે ત્રણને કસ્ટડીમાં લીધા છે. આ ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા હતા. ધરપકડ કરાયેલામાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ના ટોચના માર્કેટિંગ અધિકારી નિખિલ સોસલે સામેલ છે.
જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યા હતા. આ મામલે પકડાયેલા ત્રણ અન્ય લોકો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ સાથે જોડાયેલા છે. અત્રે જણાવવાનું કે બેંગલુરુમાં ૪ જૂનના રોજ આરસીબીની આઈપીએલ ૨૦૨૫ ટ્રોફી જીતવાની ખુશીમાં યોજાયેલા ઉજવણી સમારોહ વખતે મચેલી ભાગદોડ મામલે પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.
અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નિખિલ સોસલે મુંબઈ જવાની ફિરાકમાં હતા અને જેવા તેઓ એરપોર્ટ પહોંચ્યા કે પોલીસે તેમની ત્યાં ધરપકડ કરી. નિખિલની હાલ પૂછપરછ ચાલુ છે. જેથી કરીને માહિતી મેળવી શકાય કે બેંગલુરુમાં આરસીબીની જીત બાદ થયેલી ઉજવણી ટાણે મચેલી ભાગદોડમાં અને અવ્યવસ્થામાં તેમની ભૂમિકા કેટલી ગંભીર હતી.
આ ઘટનામાં ૧૧ લોકોના જીવ ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. નિખિલ ઉપરાંત ૩ અન્ય લોકોને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે કાર્યર્ક્મના આયોજનમાં કયા કયા નિયમોની અવગણના કરવામાં આવી, કોની મંજૂરીથી આયોજન થયું અને શું સુરક્ષા માપદંડોનું પાલન કરાયું હતું કે નહીં. તેની પાછળ કોણ જવાબદાર છે.