રિલેશનશિપ બાદ લગ્ન ન થાય તો ગુનો ના ગણાયઃ હાઈકોર્ટ

(એજન્સી) ભુવનેશ્વર, પોતાની સાથે નવ વર્ષ સુધી રિલેશનશિપમાં રહેલા પીએસઆઈ પર મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ઓરિસ્સા હાઈકોર્ટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સામે નોંધાયેલી બળાત્કારની ફરિયાદને રદ કરવા હુકમ આપ્યો હતો.
કોર્ટે નોંધ્યુ હતું કે, રિલેશનશિપના પગલે લગ્ન ન થાય તો વ્યક્તિને દુઃખ પહોંચી શકે છે, પરંતુ આ તેને અપરાધ ગણી શકાય નહીં. ઓરિસ્સા હાઈકોર્ટે પોતાના હુકમમાં ઠરાવ્યુ હતું કે, માત્ર લગ્નની ખાતરી મળી હોય તો જ મહિલા સમાગમ માટે તૈયાર થાય છે, તેવો વિચાર પુરાતન છે અને ન્યાયના સિદ્ધાંતથી વિપરિત છે. દરેક ભગ્ન સંબંધને રક્ષણ આપવાનું કે ફોજદારી કૃત્ય ગણવાનું કાયદામાં સ્વીકાર્ય નથી.
પ્રસ્તુત કેસમાં અરજદાર અને ફરિયાદી વચ્ચે ૨૦૧૨ના વર્ષથી સંબંધ હતા. તેઓ બંને સક્ષમ અને પુખ્ત હતા. પોતાના નિર્ણય જાતે લેવાની અને ઈચ્છા મુજબ વર્તવાની ક્ષમતા તેમની પાસે હતી.
ફરિયાદી મહિલા અને આરોપીના રિલેશનશિપ લગ્નમાં પરિણમ્યા ન હતા અને તેથી અંગત વ્યથા હોઈ શકે છે, પરંતુ પ્રેમમાં નિષ્ફળતાને અપરાધ ગણી શકાય નહીં. નિરાશાને કાનૂની રીતે દગામાં પરિવર્તિત કરી શકાય નહીં. મહિલાએ પુરુષ સામે બળાત્કારની ફરિયાદ કરી દાવો કર્યાે હતો કે, પોલીસ અધિકારીએ લગ્નના ખોટા વચન આપી તેના પર બળાત્કાર ગુજાર્યાે હતો.