રીક્ષા ચાલક વિમલ ખાવા ઉતર્યોઃ પેસેન્જરો રીક્ષા લઈ ફરાર
અડાલજ ખાતે રીક્ષા ચોરી ત્રણ શખ્સો ફરારઃ પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠીયાઓએ કળા કરીઃ રૂા.ર.૧પ લાખની રીક્ષા ચોરી અંગે ફરિયાદ
ગાંધીનગર, અડાલજ ખાતે અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગુટખાના બંધાણી યુવકને રીક્ષા ગુમાવવાનો વારો આવ્યો છે. રીક્ષા ચાલક યુવક દુકાને ગુટખા લેવા જતા ત્રણ યુવકો રીક્ષા લઈ પલાઈન થઈ ગયા છે ત્યારે રૂ.ર.૧પ લાખની રીક્ષા ચોરી અંગે યુવકે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સુત્રો દ્વારા મળતી વિગત મુજબ અમદાવાદ ગણેશ આઈઓસી માર્ગ પર છાપરામાં રહેતા પપ્પુ ગોપાલજી વણઝારા પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક માસ પહેલા જ પપ્પુ વણઝારા નવીન રીક્ષા લોન ઉપર ખરીદી છે.
ત્યારે ગત તા.ર૯ના રોજ સવારના સાડા દશ વાગે પપ્પુ ચાંદખેડાથી લઈ અડાલજ પેસેન્જર લઈને આવ્યો હતો પેસેન્જરને ઉતારી શ્રીનાથ સોસાયટીની બાજુમાં રીક્ષા લઈ પપ્પુ ઉભો રહ્યો હતો તે સમયે અડાલજ આંબલીવારા વાસમાંથી અડાલજ વાવ તરફ જઈ રહ્યો હતો
તે સમયે માર્ગમાં ત્રણ વ્યક્તિ ચાલીને જઈ રહ્યા હતા તેઓએ ઈશારો કરતા રીક્ષા ઉભી રાખી હતી પેસેન્જરોએ ચાંદખેડા કહેતા રીક્ષામાં બેસાડ્યા હતા. રીક્ષા થોડી આગળ જતા જૈન મંદિર પાસે ગલ્લેથી વિમલ લેવા માટે રીક્ષા બંધ કરી ઉભી રાખી હતી તે સમયે ચાવી રીક્ષામાં રહી ગઈ હતી.
ચાલક ગલ્લે વિમલ લઈ રહ્યો હતો તે સમયે ત્રણ શખ્સો રીક્ષા ચાલુ કરી જતા રહ્યા હતા પપ્પુ વણઝારાએ રીક્ષાની આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી તેમ છતા રીક્ષા મળી ન આવતા આખરે અડાલજ પોલીસ મથકમાં રૂ.ર.૧પ લાખની રીક્ષા ચોરી અંગે ફરીયાદ નોંધાતા પોલીસે ચોર શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.