રાજ્યમાં સાયબર સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સની અધ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

એક મહિનામાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૩ કરોડ પરત કરવામાં આવ્યા
‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ એક મહિનામાં રાજ્યભરમાં ૬૬૩ કાર્યક્રમો યોજીને રૂા.૨૦.૪૭ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ-રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા આ અંદાજપત્રમાં ટેકનોલોજી અને સ્ટ્રેન્થ બંને પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.
ભાવનગર રેન્જની કચેરી, ભાવનગર ખાતે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જીશ્રીઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીશ્રીએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ત્રણ નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા વિવિધ કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યા છે.
‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી માસમાં ૬૬૩ કાર્યક્રમો યોજીને રૂા.૨૦.૪૭ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે.
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો, આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે. એક મહિનામાં રાજ્યમાં ૧૩૦૩ કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને સુદ્રઢ બનાવવાનું મંથન કરાયું હતું. તે ઉપરાંત વ્યાજખોરો સામે ૮૬ ગુનાઓ દાખલ કરીને ૮૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા ૩૯ લોન મેળા યોજવામાં આવ્યા છે. જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે.
સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, જાન્યુઆરી માસમાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૩ કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાંના ભાગરૂપે પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવે છે. તે અંતર્ગત પોલીસ અધિક્ષક / ડીસીપી દ્વારા ૨૯૯ નાઇટ રાઉન્ડ કરવામાં આવ્યા છે. રેન્જ કક્ષાએથી હેડક્વાર્ટરથી દૂર રહીને ૧૩૨ નાઈટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી છે. તે ઉપરાંત રેન્જ કક્ષાએથી ૩૫૩૨ વિલેજ વિઝિટ કરવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો છે.
તે ઉપરાંત મેન્ટર પ્રોગ્રામ હેઠળ કુલ ૮૦૦૧ આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓ અને એનડીપીએસ સંબંધિત ગુનાઓમાં નિયંત્રણ આવ્યું છે. બીજી તરફ જાન્યુઆરી માસમાં રાજ્યમાંથી ૪૮૪ એબ્સ્કોન્ડર્સ અને ૪૦ પેરોલ ફર્લોને પકડવામાં આવ્યા છે.
શ્રી વિકાસ સહાયે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા આ અંદાજપત્રમાં ટેકનોલોજી અને સ્ટ્રેન્થ બંને પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગૃહ વિભાગ માટે કુલ રૂ.૧૨૬૫૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે.
જે માટે ૧૧૮૬ નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.૨૯૯ કરોડની પ્રસ્તાવના થઈ છે. તે ઉપરાંત રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે પણ સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે રૂ.૨૩ કરોડ અને રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે રૂ.૪૪ કરોડની પ્રસ્તાવના કરાઈ છે. ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુગમ પ્રોજેક્ટ માટે પણ આ બજેટમાં ખાસ જોગવાઈ માટે પ્રસ્તાવના કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત પોલીસની સ્ટ્રેન્થ વધારવા ૬ હજારથી વધુ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે.