૫૯૦૦ જવાનોએ સાબરમતિમાંથી ૪૦ ટન કચરાનો નિકાલ કરી ‘નિષ્કામ સેવા’ના સૂત્રને સાર્થક કર્યું

અમદાવાદમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ દ્વારા સાબરમતી તટે મેગા ક્લિનિંગ અભિયાન સંપન્ન
Ahmedabad, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સના સંયુક્ત ઉપક્રમે અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીના તટે સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાઅભિયાનમાં ૫૩૦૦ હોમગાર્ડ્ઝ જવાનો અને ૬૦૦ સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો સહિત કુલ ૫૯૦૦ જેટલા સેવાભાવી કર્મચારીઓ જોડાયા હતા અને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની નૈતિક ફરજ નિભાવી હતી.
જવાનો દ્વારા સાબરમતી નદીના પટમાં પૂર્વ કાંઠે અટલ બ્રિજથી સરદાર બ્રિજ સુધી અને પશ્ચિમ કાંઠે NID પાસેના સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
નદીના પટમાંથી આશરે ૩૫ થી ૪૦ ટન જેટલો માતબર કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો અને સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો.
આ પ્રસંગે કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલે સ્વયંસેવકોને સંબોધીને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત રહી કુદરત પ્રત્યેની ફરજ નિભાવવા પ્રેરણા આપી હતી. સૌએ સાથે મળીને સાબરમતીને સ્વચ્છ રાખવા અને ઐતિહાસિક સાબરમતીના નામને સાર્થક કરવાના શપથ લીધા હતા.
ગુજરાત હોમગાર્ડ્ઝ દળ, જે “નિષ્કામ સેવા” ના સૂત્રને વરેલું છે, તેણે ભૂતકાળમાં પૂર, ભૂકંપ અને કોરોના જેવી મહામારીઓ સમયે પણ રાષ્ટ્ર સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ (IPS) અને સિવિલ ડિફેન્સના જોઇન્ટ ડાયરેક્ટર શ્રીપાલ શીસ્મા (IPS)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. તેમની સાથે અમદાવાદ શહેર (પશ્ચિમ)ના જિલ્લા કમાન્ડન્ટશ્રી કુમાર પટેલ, અમદાવાદ શહેર (પૂર્વ)ના જિલ્લા કમાન્ડન્ટશ્રી સ્નેહલ પટેલ અને સિવિલ ડિફેન્સના ડી.વાય.એસ.પી શ્રી એ.એ. શેખ પણ ઉપસ્થિત રહી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.