સાબરમતી નદીની સફાઈ જનભાગીદારીથી કરવામાં આવશે.

File Photo
વાસણા બેરેજ રિપેરિંગ માટે નદી ખાલી કરવામાં આવશે.
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી નદી પર બનાવવામાં આવેલા વાસણા બેરેજના દરવાજા રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી કરવામાં આવશે. જેના કારણે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે.
સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના અંદાજિત પાંચ કિલોમીટરથી વધુ લાંબી નદી ખાલી કરી દેવામાં આવશે. નદી સંપૂર્ણપણે ખાલી થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા નદીની સફાઈ હાથ ધરવામાં આવશે. નદીમાં રહેલો કચરો અને કાપ વગેરે દૂર કરવામાં આવશે. ચોમાસા પહેલા વાસણા બેરેજના દરવાજા રિપેર કરી દેવાશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને ખાલી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચોમાસા પહેલા વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. 12 મેથી 5 જૂન સુધી સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવનાર હોવાથી સાબરમતી નદીને હાલમાં ખાલી કરવામાં આવી રહી છે. નદી ખાલી કરવામાં આવી હોવાથી તેમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. જે જગ્યા પર પાણી ઓછું થયું હશે તે મુજબ સફાઈ કરવામાં આવશે. નદીમાં રહેલો કચરો અને કાંપ સહિતની વસ્તુઓ સાફ થશે.
સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. અત્યારે સાબરમતી નદી મોટાભાગે ખાલી થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ સાથે મળી અને જન ભાગીદારી સાથે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે.
સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજી પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે ત્યારબાદ તબક્કાવાર ત્યાં સફાઈ કરવામાં આવશે.