સચિવાલય પરિસરમાં 16 હજાર વૃક્ષો સાથેનું “માતૃવન” વન કવચ બનાવવામાં આવશે

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત સિંદૂરના 200 રોપાઓ સાથે 4 હજાર રોપાઓના માતૃવન વનકવચ નિર્માણનો વન-પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણથી પ્રારંભ કરાવ્યો હતો.
સમગ્ર સચિવાલય પરિસરમાં વન વિભાગના સહયોગથી 16 હજાર જેટલા વૃક્ષો સાથેનું માતૃવન વન કવચ બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2024ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું હતું,
જે અંતર્ગત ગુજરાતે 17.48 કરોડ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ ભવિષ્યમાં આવનારા પર્યાવરણના પડકારોના નિવારણનું આગવું વિઝન પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસને ધરાતલ પર ઉતારવાના સંકલ્પો સાથે આપણને આપ્યું છે
તથા દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનમાં જોડ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વેપાર-ઉદ્યોગોને પર્યાવરણ સાથે સાંકળીને માનનીય વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ સંચય અને પ્રકૃતિરક્ષાના આપેલા વિચારને અનુસરવાનો અનુરોધ કર્યો હતો.