જૂનાગઢના SBIના મહિલા મેનેજરે રૂપિયા ૨૩.૭૭ લાખ ગુમાવ્યા

શેરબજારમાં ૪૦૦% નફાની લાલચમાં વધુ રકમની માંગણી કરાતા મહિલાને છેતરપિંડીની થઈ હતી
તેથી તેમણે સાયબર હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી
જુનાગઢ,જુનાગઢમાં એક મહિલા બેંક મેનેજર સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. શેરબજારમાં ૪૦૦ ટકા નફાની લાલચ આપીને તેમની પાસેથી ૨૩.૭૭ લાખ પડાવી લેવામાં આવ્યા છે.
જુનાગઢના ઝાંઝરડા રોડ પર હરીઓમનગરમાં રહેતા અને મજેવડીની એક બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એકતાબેન પ્રકાશગીરી ગોસ્વામી (ઉ.૪૦) માર્ચ ૨૦૨૪માં ઓનલાઈન રોકાણની માહિતી શોધી રહ્યા હતા. ત્યારે તેમને એક વેબસાઈટ મળી, જેમાં ૪૦૦ ટકા નફાની જાહેરાત સાથે એક ફોર્મ હતું.
એકતાબેને પોતાની વિગતો ભરીને તે ફોર્મ સબમિટ કર્યું. ૨૨ માર્ચ, ૨૦૨૪ના રોજ તેમને એક વોટ્સએપ જૂથમાં ઉમેરાયા.એકતાબેને ૧૨ થી ૨૨ એપ્રિલ દરમિયાન ૪.૨૧ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા.૨૫ એપ્રિલે,તેમને ૭૯,૦૦૦ના નફા સાથે કુલ ૫ લાખ જમા થયા. આ રકમ જમા થતાં એકતાબેનને વિશ્વાસ આવી ગયો કે આ રોકાણ ફાયદાકારક છે.આ વિશ્વાસને કારણે, ૨૨ એપ્રિલથી ૨૩ મે દરમિયાન એકતાબેને વધુ ૨૩.૭૭ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. જ્યારે ગઠિયાઓએ જણાવ્યું કે વધુ રૂપિયા ભરવાથી જ જમા રકમ પરત મળશે, ત્યારે તેમને છેતરપિંડીની શંકા ગઈ અને તેમણે સાયબર હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી.