Western Times News

Gujarati News

૨૦૪૨ કરોડ રૂપિયા દાન કરીને શિવ નાદર બન્યા દેશના સૌથી મોટા દાનવીર

નવી દિલ્હી, દેશની અગ્રણી IT કંપની HCL Technologiesના સ્થાપક અને અધ્યક્ષ શિવ નાદર સૌથી મોટા દાનવીર બન્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૩ દરમિયાન શિવ નાદરે ૨૦૪૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં ૭૬ ટકા વધુ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, એડલગીવ Hurun India Philanthropy List ૨૦૨૩ અનુસાર, શિવ નાદર ૨૦૪૨ કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી દાનવીર બની ગયા છે. તેમણે ૨૦૨૨-૨૩ નાણાકીય વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ ૫.૬ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

શિવ નાદર પછી વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે ૨૦૨૨-૨૩માં કુલ ૧૭૭૪ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ કરતા ૨૬૭ ટકા વધુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાનના મામલે ત્રીજા સ્થાને છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્ધારા ૩૭૬ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઝેરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાતા બન્યા છે. તે ૧૨મા સ્થાને છે અને તેમણે ૧૧૨ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

રોહિણી નીલેકણી મહિલા દાતાઓમાં પ્રથમ ક્રમે છે અને તેમણે ૧૭૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. EdelGive Hurun India Philanthropy List ૨૦૨૩ અનુસાર તેઓ ૧૦મા ક્રમે છે. રોહિણી નિલેકણી સિવાય અન્ય સેવાભાવી મહિલાઓના નામ પર નજર કરીએ તો અનુ આગા અને લીના ગાંધીએ ૨૩ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને બંને ૪૦માં અને ૪૧માં સ્થાને છે.

કુલ દાનવીરોમાંથી ૭ મહિલા દાનવીર છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧૯ ઉદ્યોગપતિઓએ રૂપિયા ૫ કરોડ કે તેથી વધુનું દાન આપ્યું છે. અને જાે આ બધાનું દાન ઉમેરીએ તો આ રકમ ૮૪૪૫ કરોડ રૂપિયા થાય છે. આ રકમ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં ૫૯ ટકા વધુ છે. ૨૦૨૨-૨૩માં ૧૪ ભારતીયોએ ૧૦૦ કરોડથી વધુનું દાન કર્યું છે, જે અગાઉના વર્ષમાં માત્ર ૬ હતું. જ્યારે ૧૨ લોકોએ ૫૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ૪૭એ ૨૦ કરોડનું દાન આપ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.