મોબાઈલ ટાવરની કામગીરી બંધ કરાવવા સુલતાનપુરા રહીશોએ ના.કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા નગરના સુલતાનપુરા વિસ્તારના રાઠોડ ફળિયામાં નવા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર તથા સ્થાનિક જમીન માલિક દ્વારા કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોએ વિરોધ કરી ઝઘડિયાના નાયબ કલેકટર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવી મોબાઇલ ટાવરની કામગીરી તાત્કાલિક બંધ કરવા અને તેનાથી માનવ તથા પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય પર થનારી અસરો બાબતે જણા?યું હતું.
સ્થાનિક ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સુલતાનપુરાના રાઠોડ ફળિયાના રહીશ વિક્રમસિંહ દિલીપસિંહ પરમાર દ્વારા તેના વાડામાં ફળિયાના રહીશોની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કે જાણ કર્યા વગર ખાનગી કંપની સાથે મોબાઈલ ટાવર ઉભો કરવાની જગ્યા આપી તેના ફાઉન્ડેશનનું કામગીરી શરૂ કરવામાં આવી છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોબાઈલ ટાવર ઉભો થશે તો તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય તેમ છે
અને ટાવરના માઇક્રોવેવ તથા ટ્રાન્સમિશન એન્ટેનાના કારણે મેગ્નેટિક ફિલ્ડ મોબાઈલ ટાવરની આસપાસ ઉભું થાય તેમ છે અને તેના કારણે આજુબાજુમાં આવેલા તમામ વિસ્તારના રહીશોના સ્વાસ્થ્યને ગંભીર પ્રકારના રોગો થવાના જોખમો ઊભા થઈ શકે તેમ છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કંપની દ્વારા ફાઇવ જી નું ટ્રાન્સમિશન ૨૯ હજાર મેગા હર્ટઝ જેવી ઉંચી આવૃત્તિથી થવાનું હોય
જેના કારણે માનવ શરીરમાં ગંભીર અસરો થાય તેમાં કોઇ બે મત નથી, વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આ મોબાઈલ ટાવર લગાવવામાં આવશે તો આજુબાજુના વિસ્તારના કેટલાક લોકોને સતત માઠું દુખવું, ઊંઘમાં ખલેલ પહોંચવી, સતત ગરમી લાગવી, ચામડીના રોગો થવા, ચક્કર આવવા, કાનમાં સતત અવાજ આવવો, મહિલાઓના માસિકચક્ર માં અનિયમિતતા આવવી,
બાળકોના શ્વાસ પર ગંભીર જોખમ, શરીરની પાચન ક્રિયા પર ગંભીર અસર, સાંધાના દુખાવો, માનસિક તણાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવી અસરો થઈ શકે છે,જેથી તાત્કાલિક અસરથી વગર પરવાનગી એ શરૂ કરવામાં આવેલી મોબાઇલ ટાવર ના ફાઉન્ડેશનની કામગીરી બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.