Western Times News

Gujarati News

સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે એટલો દેશ ચમકશેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે દિલ્હીમાં શાળાના બાળકો સાથે ફ્લોર સાફ કર્યો. આ પ્રસંગે વડાપ્રધાને લોકોને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો.

તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જે ભારતનું સપનું ગાંધીજી અને દેશની મહાન હસ્તીઓએ જોયું હતું, આવો આપણે સૌ સાથે મળીને એ સપનું પૂરું કરીએ. આજનો દિવસ આપણને આ પ્રેરણા આપે છે. આજે ૨જી ઓક્ટોબરે હું ફરજની ભાવનાથી ભરપૂર છું અને એટલો જ ભાવુક પણ છું. આજે સ્વચ્છ ભારત મિશનની સફર ૧૦ વર્ષના સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા પખવાડિયામાં દેશભરમાં કરોડો લોકોએ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મને જાણ કરવામાં આવી છે કે ‘સેવા પખવાડા’ના ૧૫ દિવસમાં દેશભરમાં ૨૭ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૮ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. હું દરેક ભારતીયનો આભાર વ્યક્ત કરું છું.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર, સ્વચ્છતા સંબંધિત લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સ પણ શરૂ કરવામાં આવ્યા છે. મિશન અમૃત અંતર્ગત દેશના અનેક શહેરોમાં વોટર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.

નમામિ ગંગે સંબંધિત કામ હોય કે કચરામાંથી બાયોગેસ બનાવતા ગોબરધન પ્લાન્ટ, આ કામ સ્વચ્છ ભારત મિશનને નવી ઊંચાઈએ લઈ જશે. સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે. પીએમ મોદીએ સ્વચ્છતા મિશનમાં ભાગ લેનાર સ્વચ્છતા કાર્યકરો, ધાર્મિક નેતાઓ, પ્લેયર્સ, સેલિબ્રિટીઝ, એનજીઓ સહિત તમામ લોકોની પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.