આગામી તા.૧૪ માર્ચથી ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે
પરીક્ષાના સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ
(પ્રતિનિધિ)ગોધરા, આગામી તારીખ ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પરીક્ષાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષણમંત્રી અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલ કમિટીના સભ્યઓ સાથે વિડિયો કોન્ફરન્સમા ભાગ લીધો હતો.જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું હતું કે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ સાથે પંચમહાલ જિલ્લામાં પણ પરીક્ષાનું સુચારુ આયોજન થાય તેના અનુસંધાને સબંધીત અધિકારી ઓ સાથે ચર્ચા વિચારણા કરીને જરૂરી સલાહ સૂચનો કરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માટે કુલ ૫૪ પરિક્ષાકેન્દ્ર,૧૪૩ યુનિટ અને ૧૫૯૫ બ્લોક પર કુલ ૪૬૬૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે,જેમાં ધો.૧૦ માટે ૩૩ કેન્દ્ર પર ૨૮,૨૫૫ વિદ્યાર્થીઓ તથા ધો.૧૨ માટે ૨૧ કેન્દ્ર પર ૧૮,૩૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.જિલ્લામાં ધોરણ ૧૦ માટે ૮૭ યુનિટ,૯૪૭ બ્લોક અને ધોરણ ૧૨ માટે ૫૬ યુનિટ અને ૬૪૮ બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષાકેન્દ્રો ખાતે સીસીસીટી રેકોર્ડિંગ સાથે પરીક્ષા લેવામાં આવશે. આ કોન્ફરન્સમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ પટેલ સહિત કમિટીના સબંધીત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.