કોર્ટે ૯૦ વર્ષીય શખસને ફટકારી આજીવન કેદની સજા
આગરા, ૪૨ વર્ષ પહેલાં દલિત સમુદાયના ૧૦ લોકોની હત્યા કેસમાં ભૂમિકા બદલ ફિરોઝાબાદ જિલ્લા અને સેશન કોર્ટે ૯૦ વર્ષીય વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી છે. યુપીની કોર્ટે એકમાત્ર જીવિત આરોપી ગંગા દયાલને રુપિયા ૫૫ હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં ૧૦ આરોપીઓમાં ૯૦ વર્ષીય શખસનો પણ સમાવેશ છે.
ટ્રાયલ દરમિયાન ૯ આરોપીઓનાં મોત થઈ ચૂક્યા હતા. જિલ્લા સરકારી વકીલ રાજીવ ઉપાધ્યાયે ગુરુવારે જણાવ્યું કે, વર્ષ ૧૯૮૧માં શિકોહાબાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સદુપુરમાં ભારે હિંસા થઈ હતી. આ ઘટનામાં ફાયરિંગમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત ૧૦ લોકોનાં મોત થયા હતા અને બે મહિલાઓ ઘાયલ થઈ હતી. ત્યારબાદ આઈપીસીની કલમ ૩૦૭, ૩૦૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ૧૦ શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી હતી.
શરુઆતમાં આરોપી દયાલ સહિત ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં અન્ય સાત શખસોના નામ સામે આવ્યા હતા. જેમાંથી મોટાભાગના જમીન માલિકો હતા. આ કેસના પ્રોસિક્યુટી માટે હાજર થયેલા ઉપાધ્યાયે જણાવ્યું કે, દુશ્મનાવટના કારણે કેટલાંક દલિત ગ્રામવાસીઓ દ્વારા રેશનની દુકાનના માલિક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં તેમના નવ જેટલાં સહયોગીઓ સાથે બદલો લીધો હતો. તેઓએ ઘરમાં જમવાનું બનાવી રહેલાં લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, આવી સામૂહિક હત્યાઓ રેરેસ્ટ ઓફ રેર કેસની શ્રેણીમાં આવે છે અને આરોપી દયાલ ફાંસીની સજાને પાત્ર છે. બચાવ પક્ષે દયાલની ઉંમરને ધ્યાનમાં રાખીને વધુ સહાનૂભૂતિપૂર્ણ દ્રષ્ટિકોણની વિનંતી કરી હતી. ડીજીસીએ ઉમેર્યું કે, દયાલને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને બુધવારે કોર્ટે તેને સજા સંભળાવી હતી.
સજા બાદ જામીન પર બહાર આવેલાં આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તો ડિસ્ટ્રીક્ટ જેલના અધિક્ષક એકે સિંહે ગુરુવારે જણાવ્યું કે, મેડિકલ ચેકઅપ બાદ દયાલને જનરલ બેરેકમાં ખસેડવામાં આવ્યોછે. તેની વધારે ઉંમરના કારણે તે નબળાઈથી પીડાઈ રહ્યો છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ છે.SS1MS