Western Times News

Gujarati News

દિકરીને માતૃત્વ ધારણ કરવા માતાનું ગર્ભાશય મળ્યું, તબીબી ઇતિહાસમાં દુર્લભ પ્રત્યારોપણ

IKDRC The daughter received the mother's womb to assume motherhood

IKDRC એકસાથે બે દુર્લભ ગર્ભાશય પ્રત્યારોપણ કરનાર વિશ્વની પ્રથમ સરકારી સંસ્થા બની

અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) બે અલગ-અલગ એયુએફઆઇ દર્દીઓ ઉપર તેમની જૈવિક માતાઓ દ્વારા ડોટર્સ ડે ઉપર ગર્ભાશય દાન કરાતા દુર્લભ ગર્ભાશય પ્રત્યારોપણ કરનાર વિશ્વનું પ્રથમ યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર બન્યું છે.

બંન્ને દર્દીઓ ઉપર રવિવારે મોડી રાત સુધી ગર્ભાશય પ્રત્યારોપણની સર્જરી કરાઇ હતી અને તેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયાં હતાં. આ જટિલ સર્જરીમાં ગર્ભાશય પ્રત્યારોપણના ત્રણ મહત્વપૂર્ણ તબક્કા સામેલ હતાં, જેમાં સૌપ્રથમ દાતાનું ગર્ભાશય લેવાયું હતું, ત્યારબાદ પ્રાત્ય કરાયેલા અંગો ઉપર બેન્ચ સર્જરી કરાઇ હતી અને આખરે અંગદાન પ્રાપ્ત કરનાર વ્યક્તિના શરીરમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ કરાયું હતું.

ડો. વિનિત મિશ્રાના નેતૃત્વ હેઠળ ઇન્સ્ટિટ્યૂટના ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ ડિપાર્ટમેન્ટના દસ સદસ્યોની ટીમે આ પ્રકારની સર્જરી પહેલીવાર કરવા છતાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સફળતાપૂર્વક હાંસલ કર્યું છે.

પ્રથમ સર્જરી 28 વર્ષીય રીના વનપ્રિયા ઉપર હાથ ધરાઇ હતી. તેઓ ગૃહિણી છે અને ત્રણ વર્ષ પહેલાં તેમના લગ્ન થયાં હતાં તથા તેમનું માસિકચક્ર અનિયમિત હોવાનું નિદાન થયું હતું. તેમને ડિડેલફીસ ગર્ભાશયનો પણ ઇતિહાસ હતો – આ એક દુર્લભ જન્મજાત ભ્રૂણજન્ય પરિસ્થિતિ છે, જેમાં દર્દીનો જન્મ બે ગર્ભાશય સાથે થાય છે. સામાન્ય ભાષામાં તેને બે ગર્ભાશય કહેવાય છે. તે ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓ તથા પીડાજનક માસિકસ્રાવનું કારણ બની શકે છે. રીનાની 50 વર્ષીય પોસ્ટ-મેનોપોઝલ માતા તેમની દિકરીને માતૃત્વના આનંદનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનતા પોતાનું ગર્ભાશય દાન કરવા સંમત થયાં હતાં.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પત્રકારોને સંબોધન કરતાં આઇકેડીઆરસી-આઇટીએસના ડાયરેક્ટર ડો.  વિનિત મિશ્રાએ કહ્યું હતું કે, હાલના તબક્કે અમને જાહેર કરતાં ખુશી થાય છે કે અમે બંન્ને દર્દીઓ ઉપર ગર્ભાશય પ્રત્યારોપણની સર્જરી સફળ રહી છે તથા યુએસજી અને ઇકો કલર-ડોપલર ટેસ્ટ દ્વારા પ્રત્યારોપણ કરાયેલા ગર્ભાશયમાં રક્તના સારા પ્રવાહની પુષ્ટિ કરી છે.

ડો. મિશ્રાએ ઉમેર્યું હતું કે, એમઆરકેએચ વિકાર, એબ્સોલ્યુટ યુટેરિન ફેક્ટર ઇનફર્ટિલિટી (એયુએફઆઇ) સ્થિતિ તથા મુલેરિયન ડક્ટ વિસંગતતાઓને કારણે માતૃત્વના આનંદનો અનુભવ કરવાની આશા ગુમાવી ચૂકેલી હજારો માતા માટે હવે આશાનું કિરણ પેદા થયું છે.

આજ પ્રકારે 22 વર્ષીય તબસ્સુમ બાનુ કે જેમનું લગ્ન દોઢ વર્ષ પહેલાં થયું હતું અને તેમને મેયર-રોકિટાન્સ્કે-કુસ્ટેર-હાઉઝર (એમઆરકેએચ) સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું, જે એક સ્ત્રી પ્રજનન પ્રણાલી સંબંધિત વિકાર છે. આ એમઆરકેએચ સ્થિતિને કારણે યોનિ અને ગર્ભાશય અવિકસિત અથવા અનુપસ્થિત હોય છે, ભલે બાહ્ય જનનેન્દ્રિયો સામાન્ય હોય. એમઆરકેએચથી અસરગ્રસ્ત વ્યક્તિને સામાન્ય રીતે ગર્ભાશયની અનુપસ્થિતિને કારણે માસિકસ્રાવ થતો નથી. તબસ્સુમની 48 વર્ષીય માતાએ સ્વૈચ્છિક રીતે પોતાની દિકરીને ગર્ભાશય દાન કર્યું હતું.

અંગ પ્રત્યારોપણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ આગામી દોડ મહિનામાં નિયમિત માસિકચક્રમાંથી પસાર થવાની અપેક્ષા છે તથા આગામી 4-5 મહિનામાં ગર્ભ ધારણ કરશે, તેમ યાદીમાં ઉમેર્યું હતું.

શરૂઆતમાં ઇન્સ્ટિટ્યૂટ જીવિત સંબંધિત પ્રત્યારોપણને જ પ્રોત્સાહિત કરશે, જેમાં મહિલાના નજીકના જૈવિક સંબંધીઓ ભાગ લઇ શકશે. આઇકેડીઆરસી ખાતે ગર્ભાશયનું પ્રત્યારોપણ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા જંગી સબસિડી ધરાવતા પ્રત્યારોપણ ખર્ચ સાથે એયુએફઆઇ દર્દીઓ માટે કરાશે.

યાદીમાં ઉમેર્યું હતું કે, ગર્ભાશયના દાતાની ઉંમર સામાન્ય રીતે 30-60 વર્ષ વચ્ચે તથા તેમનું ગર્ભાશય સ્વસ્થ સ્થિતિમાં હોવાનું જોઇએ.

એક અંદાજ મૂજબ ભારતમાં 15 ટકા મહિલા વસતીને વંધ્યત્વ સંબંધિત સમસ્યાઓ છે તથા 5000માંથી એક મહિલામાં ગર્ભાશય હોતું નથી. એયુએફઆઇ સ્થિતિ વંધ્યત્વનો સંદર્ભ આપે છે, જેમાં ગર્ભાશયની સંપૂર્ણપણે અનુપસ્થિતિ (જન્મજાત અથવા સર્જિકલ) અથવા કોઇ અસામાન્યતા (એનાટોમિક અથવા ફંક્શનલ)ને કારણે ભ્રૂણ પ્રત્યારોપણ અથવા ગર્ભાવસ્થાનો સમયગાળો પૂર્ણ થતાં અટકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.