નશામુક્તિ અભિયાન વાન રોજના પાંચ ગામોની મુલાકાત લઈને લોકોને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે

મુખ્યમંત્રીએ નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું પ્રસ્થાન કરાવ્યું-ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું પ્રસ્થાન કરાવીને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
આ અભિયાન ગુજરાતમાં આવતીકાલ તા.19 ફેબ્રુઆરીના રોજ અંબાજીથી શરૂ થવાનું છે.
સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રોજના પાંચ ગામોની મુલાકાત લઈને રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લેશે. એટલું જ નહીં, આ ગામોમાં લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે સાથોસાથ નશામુક્તિ માટે જનજાગૃતિ જગાવતા સેમિનાર, વર્કશોપ અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.