જામનગરના આંગણે ગુજરાતમાં સૌ પ્રથમ પં.આદિત્યરામજીની બંદિશો પર ગાયન વાદન અને નૃત્ય પ્રસ્તુતિની જમાવટ
(પ્રતિનિધિ)જામનગર, છોટીકાસી જામનગરના આંગણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ‘સંગીતમ્’ સંસ્થા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત પં.આદિત્યરામજીની બંદીશો પર ગાયનવાદન અને નૃત્ય નો પં.આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ધીરૂભાઈ અંબાણી વાણિજય ભવન, જામનગર ખાતે યોજાયો હતો. શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી બીનાબેન કોઠારીએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.
લુપ્ત થઈ રહેલા ગુજરાતના એકમાત્ર પં.આદિત્યરામજી સંગીત ઘરાનાની જાળવણી તેમજ ખાસ કરીને યુવાનો અને સંગીત પ્રેમીઓને આ ઘરાનાથી અવગત કરવાની સાથે ઘરાનાના સંગીતકારોને પ્લેટફોર્મ આપવા ઉપરાંત ઘરાનાને જીવંત રાખવાના ભાગ રૂપે યોજાયેલ શાસ્ત્રીય ગાયનવાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમમાં પં.આદિત્યરામજી ગુરૂ-શિષ્ય પરંપરાના અને શાસ્ત્રીય ગાયનના પ્રસિધ્ધ કલાકારો શ્રી રૂપેશ ચૌહાણ, ડો. કુમાર પંડયા(રાજકોટ) એ રજુ કરેલ રાગ ભૈરવી દ્વારા ઉપસ્થીત વિશાળ શ્રોતાજનોને ડોલાવ્યા હતા.
શ્રી મેહુલ બારડ, શ્રી પ્રદિપ બારોટ, રૃ. દ્રષ્ટિ ચૌહાણ, શ્રી જીજ્ઞેશ જાેશી તથા શ્રી કપીલ ક્બીરા, યેશા પંડયા (તાનપુરો) એ ચતરંગની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ ર્યા હતા. તબલાવાદનમાં શ્રી માધવ પુરોહિત, શ્રી યશ પંડયા, રાજકોટ, શ્રી ઘીમંત ચૌહાણ તથા પાર્થ ઉપાધ્યાયની જુગલબંધી શ્રોતાઓમાં વિશેષ આકર્ષણ રહ્યું હતું. હાર્મોનિયમ પર વિકલ્પ ઉપાધ્યાય તેમજ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ, રાજકોટ કથ્થક વિભાગના નૃત્ય વૃંદે શ્રોતાના હૃદયમાં અનોખુ સ્થાન જમાવ્યુ હતુ. ઉદ્ઘોષક શ્રી ધરા માંકડ દ્વારા પં. આદિત્યરામજીનું જીવન કવન ગુજરાતી તેમજ ઈંગ્લિશ ભાષામાં રજુ કર્યું હતુ.
મેયરશ્રી બીનાબેન કોઠારીએ પણ આ વાતને સમર્થન આપતા આ બાબતે બનતો પુરો સહયોગ કરવાની હૈયા ધારણ આપી હતી સાથે સાથે ‘સંગીતમ’ સંસ્થા અને ગુજરાત રાજ્ય સંગીત—નાટક અકાદમી, ગાંધીનગરના આ ભગીરથ કાર્યની પણ ભારોભાર પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીય ગાયન વાદન નૃત્યની ક્લાને સમર્પિત સંગીતજ્ઞો પં. મનુભાઈ બારડ, પં. નવલભાઈ ભટ્ટ, સ્વ. જેન્તીભાઈ બામરોલિયા તથા સ્વ. ઈન્દુભાઈ ભટ્ટનું મરણોપરાંત સન્માન તેમજ પં. અરૂણકાંતભાઈ સેવક, ડો. શ્વાતિ અજય મહેતા, શ્રી નવિનભાઈ ઠાકર, શ્રી જયેન્દ્રભાઈ વડગામા, શ્રી નલિનભાઈ ત્રિવેદી, ડો. અર્પણભાઈ ભટ્ટ, શ્રી ચેતનભાઈ શાસ્ત્રી, શ્રીમતી તસ્લીમબેન બ્લોચ, શ્રી અલ્તાફભાઈ પોસલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. – ચેતન ગોસ્વામિ, દુર્ગા ધ્વનિ સાઉન્ડના સથવારે કાર્યક્રમને સફળ બનાવવા પં.આદિત્યરામજી ગુરૂ શિષ્ય પરંપરાના શ્રી પં.મનુભાઈ બારડના શિષ્યવૃંદે ભારે જહેમત ઉઠાવી હતી.