ભારતીય હાઈકમિશને તિરંગો ફરી લહેરાવી મોટો તિરંગો પણ લગાવ્યો

લંડન, બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવાયેલો તિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. જાેકે હવે તેમને જડબાતોડ જવાબ ભારતીય હાઈ કમિશન તરફથી જ આપવામાં આવ્યો છે. ભારતીય હાઈ કમિશનની ઈમારત પર ફરી તિરંગો તો લહેરાવી જ દેવાયો અને સાથે જ એક વિશાળ તિરંગો પણ લગાવાયો હતો. હવે આ તસવીર પણ વાઈરલ થવા લાગી છે. આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેરગીલે એક ફોટો ટિ્વટર પર પોસ્ટ કર્યો હતો. તેની સાથે તેમણે કેપ્શન પણ લખી હતી કે ‘ઝંડા ઊંચા રહે હમારા… ‘ બ્રિટિશ સરકાર દ્વારા દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અપીલ છે.
ઉલ્લેખનીય છે કે તિરંગાના આ અપમાનની ઘટના એવા સમયે બની હતી જ્યારે પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસે ભારતમાં કાર્યવાહી કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં બ્રિટનના કમિશનરે આ મામલે ટિ્વટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે કડક ભાષામાં બ્રિટનના રાજદ્વારી પાસે આ મામલે જવાબ માગ્યો હતો.
તેમને સવાલ કરાયો હતો કે શું ત્યાંની બ્રિટિશ સિક્યોરિટી આ હુમલા સમયે શું કરી રહી હતી? વિયેના કન્વેન્શન અનુસાર સુરક્ષા બ્રિટનની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી સાંખી લેવાય તેમ નથી. આશા છે કે બ્રિટિશ સરકાર એ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.
આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈકમિશન એલેક્સ એલિસે ટિ્વટ કરીને ભાગલાવાદીઓની આ હરકતની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં લોકો વિરુદ્ધ પરિસરમાં કરાયેલા શરમજનક કૃત્યની આકરી ટીકા કરું છું. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.