4 વર્ષ બાદ સચિન પાયલટ અશોક ગેહલોતના નિવાસસ્થાને પહોંચ્યાઃ લોકોમાં ચર્ચા

4 વર્ષ બાદ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાની મુલાકાતની ચારેકોર ચર્ચા- લગભગ દોઢ કલાક સુધી રૂમમાં વાતચીત કરી
(એજન્સી)જયપુર, રાજ્સ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર ૫ વર્ષે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા બદલાય છે. હાલમાં અહીં ભાજપ સત્તામાં છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી હતી અને અશોક ગેહલોતની સરકારને દૂર કરી હતી. વિધાનસભા ચૂંટણીમાં હાર સમયે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે રાજ્ય કોંગ્રેસમાં પરિવર્તનની જરૂર છે.
અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વર્ષો જૂની રાજકીય દુશ્મનાવટ અંગે પણ ચર્ચા થઈ હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો મેળવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. કોંગ્રેસે તેના ગઠબંધન ભાગીદારો સાથે મળીને રાજ્યમાં ૨૦ માંથી ૧૧ બેઠકો જીતી હતી.
જો કે, લોકસભા ચૂંટણી પછી, રાજસ્થાનનું રાજકારણ ફરી ઠંડુ પડી ગયું છે. કારણ કે રાજ્યમાં ચૂંટણી માટે હજુ ઘણો સમય બાકી છે. પરંતુ શનિવારે જયારે અચાનક સચિન પાયલટે અશોક ગેહલોતના ઘરે મુલાકાત કરવા પહોચ્યા ત્યાં ફરી હલચલ શરુ થઇ છે. એવું કહેવાય છે કે આ પહેલી વાર હતું જ્યારે સચિન પાયલટે અશોક ગેહલોતના ઘરે મુલાકાત લીધી હોય.
ગેહલોત-પાયલટની મુલાકાત અને બંધ બારણે થયેલી વાતચીતથી રાજસ્થાનના રાજકારણમાં અચાનક હલચલ ગઈ છે. એક જ પક્ષના બે વિરોધી નેતાઓની મુલાકાતને કારણે રાજસ્થાનના રાજકીય વાતાવરણમાં પરિવર્તનની ચર્ચા થઈ રહી છે. આ મુલાકાતનો અર્થ શું છે? પાયલટ આ સમયે ગેહલોતના ઘરે કેમ ગયા? એવા પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે થયેલી મુલાકાતના ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે સચિન પાયલટ પોતે ગેહલોતના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને નેતાઓએ લગભગ દોઢ કલાક સુધી બંધ રૂમમાં વાતચીત કરી હતી. પાર્ટી અને રાજ્યને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ સાથે સચિન પાયલટે અશોક ગેહલોતને એક ખાસ કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું હતું.આ મુલાકાત દરમિયાન, સચિન પાયલોટે રાજેશ પાયલટની ૨૫મી પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં અશોક ગેહલોતને આમંત્રણ આપ્યું હતું. બેઠક પછી, અશોક ગેહલોતે કહ્યું, રાજેશ પાયલટ અને હું ૧૯૮૦ માં પહેલીવાર લોકસભામાં સાથે પહોંચ્યા હતા.
અમે લગભગ ૧૮ વર્ષ સુધી સંસદમાં સાથે રહ્યા. તેમના અચાનક અવસાનથી અમને હજુ પણ દુઃખ છે. તેમનું વિદાય પાર્ટી માટે પણ ઊંડો આઘાત હતો. સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે ૩ મહિનામાં આ ત્રીજી મુલાકાત છે. એપ્રિલની શરૂઆતમાં, બંને અમદાવાદ અને જયપુર એરપોર્ટ પર મળ્યા હતા અને ચર્ચા કરી હતી. એવામાં ગઈકાલની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં કોંગ્રેસમાં સમાધાનની અટકળો શરુ થઇ ગઈ છે.