સરદારનગરમાં સવા મહિના પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદારનગરમાં સવા મહિના પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનારા ૪ આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ છીનવી લેતા આરોપીઓએ લાકડીઓના ફટકા મારી યુવકની હત્યા કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી હસમુખ ઉર્ફે ભરત ખટીક, નાસીર હુસેન ઉર્ફે મામા શેખ, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ અને સુનિલ ઉર્ફે શિવા કોરીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વાત કરીએ તો ૨૫ ફેબ્રુઆરીના રોજ મૃતક ૨૩ વર્ષના જગરામ પાટીલ નામના યુવકને અજાણ્યા શખ્સોએ લાકડીઓથી માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ શંકાસ્પદ મોત મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બાતમીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હસમુખ ઉર્ફે ભરતનો મોબાઈલ મૃતક જગરામએ છીનવાનો પ્રયત્ન કરતા તેને લાકડીઓથી ફટકા મારવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ૨૫ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે મૃતક જગરામ પાટીલ નરોડા રેલવે સ્ટેશન તરફથી મેઈન રોડ પર જઈ રહ્યો હતો.
આ દરમિયાન આરોપી ભરત વોશરૂમ માટે ગયો હતો. મૃતક જગરામને અંધારામાં દેખાતું ન હતું, તેવા સંજોગોમાં ત્યાં હાજર આરોપી ભરતે મોબાઈલથી ફ્લેશ લાઈટ ચાલુ કરતા મૃતકે મોબાઈલ છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી ભરતે મૃતકને પકડીને અન્ય તેના મિત્રોને બોલાવીને લાકડીઓ અને મુક્કાઓથી માર માર્યો હતો. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયા હતા.