ભારતમાં કોરોના વાયરસના કેસોનો આંક ૫૦૦૦ને પાર

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયરસના ચેપથી વધુ ચારનાં મોત
કોરોના વાયરસના ચેપના નવા કેસોમાં વૃદ્ધિને જોતાં, કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ માટે તૈયારીની ચકાસણી માટે મોક ડ્રિલ કરી રહી છે
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસોનો આંકડો ૫૦૦૦થી ઉપર પહોંચી ગયો છે, જેમાં કેરળમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. કેરળ પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના વાયરસના ચેપના નવા કેસોમાં વૃદ્ધિને જોતાં, કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ માટે તૈયારીની ચકાસણી માટે મોક ડ્રિલ કરી રહી છે.
તમામ રાજ્યોને કોવિડ-૧૯ના વધી રહેલા કેસોને પગલે ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને જરુરી દવાઓ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે. ભારતમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની સંખ્યા ૫૩૬૪ છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ચાર લોકોના મોત થયા છે. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ મોટાભાગના કેસો હળવા છે અને દર્દીઓની પોત-પોતાના ઘરમાં સારવાર થઈ રહી છે.
આ વર્ષે જાન્યુઆરીથી હમણાં સુધી દેશમાં કોરોનાના ચેપને લીધે ૫૫ લોકોના મોત થયા છે. ૨૨મી મેએ દેશમાં કોરોના વાયરસના ચેપના ૨૫૭ દર્દીઓ હતા. હેલ્થ સર્વિસના ડાયરેક્ટર જનરલ ડો.સુનિતા શર્માના અધ્યક્ષપદમાં દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોના પ્રતિનિધિઓ તથા તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સાથે ટેકનિકલ રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્તમાનમાં કોવિડ-૧૯ની સ્થિતિ અને તૈયારીઓના ઉપાયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.ss1