રેપો રેટમાં ફરીવાર ૦.૨૫% નો વધારો ઝીંકવામાં આવ્યો
નવી દિલ્હી, સામાન્ય નાગરિકોને વધુ એક આંચકો આપીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે રેપો રેટમાં વધુ ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. તેના કારણે બેન્કો પણ પોતાના વ્યાજદર વધારશે.
જેથી હોમ લોન અને પર્સનલ લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી પડશે. હવેથી રેપો રેટ ૦.૨૫ ટકા વધીને ૬.૫૦ ટકા થયો છે. RBI આજે તેની નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું કે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ડિસેમ્બરમાં નાણાકીય નીતિ વખતે પણ બેન્ચમાર્ક દરમાં ૦.૩૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં RBIએ રેપો રેટમાં ૨.૨૫ ટકાનો વધારો કર્યો છે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે RBI સતત મુખ્ય રેટમાં વધારો કરતી જાય છે.
RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું કે રિઝર્વ બેન્કની પોલિસીમાં એકોમોડેટિવ પોલિસી પરત ખેંચવા પર ફોકસ કરવામાં આવ્યું છે. RBIએ હાલના જિયોપોલિટિકલ તણાવ અને ઓઈલના ભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે અત્યારે ઘણા ક્ષેત્ર એવા છે જેમાં વિશ્વને ભારતની મદદની જરૂર છે.
RBI જ્યારે પણ ચાવીરૂપ વ્યાજના દરમાં વધારો કરે છે તેના કારણે બેન્કો માટે ધિરાણ ખર્ચ વધી જાય છે. RBIના પગલે બેન્કો પણ પોતાના વ્યાજના દર વધારતી હોય છે. તેથી હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોનના દર વધે છે
જંત્રીના દર વધવાની સાથે હવે રેપો રેટનો વધારો થવાથી ઘર ખરીદનારાઓની સમસ્યા વધવાની છે. હોમ લોનના દર એક સમયે ૭.૫૦ ટકાની આસપાસ ચાલતા હતા તે હવે વધીને ૯.૦૦ ટકા થી ૯.૫૦ ટકા સુધી પહોંચી ગયા છે.
આ ઉપરાંત ગુજરાતમાં સરકારે જંત્રીના દર પણ ડબલ કર્યા છે. તેના કારણે લોકોને પ્રોપર્ટીની ખરીદી પર વધારે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે. આમ મકાન કે કોઈ પણ પ્રકારની એસેટ ખરીદવા માંગતા લોકોની સમસ્યામાં વધારો થયો છે.
RBI જ્યારે રેપો રેટમાં વધારો કરે ત્યારે બેન્કો લોનના દર વધારવાની સાથે સાથે ડિપોઝિટના દરમાં પણ અમુક ટકાનો વધારો કરે છે. આ વખતે પણ ડિપોઝિટના દરમાં ૦.૨૦ ટકાથી ૦.૨૫ ટકા સુધી વધારો શક્ય છે.SS1MS