દેશમાં કોરોનાનો વધી રહેલો ખતરો, છેલ્લા ૪૮ કલાકમાં ૨૧ દર્દીઓનાં મોત

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા આંકડા પ્રમાણે વર્તમાન સમયમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની સંખ્યા ૩૦૦૦થી ઉપર પહોંચી ગઈ છે. કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પરથી જાણવા મળે છે કે ૨૫મી મે પછીથી દેશમાં કોવિડ-૧૯ના આંકડાઓમાં ૧૦ ઘણો વધારો થયો છે.કેરળ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. છેલ્લા ૯ દિવસોમાં દેશમાં કોરોનાના કેસમાં ૧૩૦૦ ટકાનો વધારો થયો છે. જ્યારે દેશમાં છેલ્લા ૪૮ કલાકમાં ૨૧નાં મોત થયા છે.
હાલ દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૩૭૮૩ છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે બેંગલુરુમાં વેક્સીનના ત્રણ ડોઝ લઈ ચુકેલા દર્દીના પણ મોત થયા છે. કેરળમાં કોવિડ-૧૯ના સૌથી વધુ સક્રિય કેસો છે અને અહીંયા લગભગ ૧૪૦૦ દર્દીઓ છે. રવિવારે કેરળમાં વધુ ૬૪ કેસો નોંધાયા છે.
કેરળ પછી મહારાષ્ટ્રમાં સૌથી વધુ વધુ સક્રિય કેસોની સંખ્યા ૪૮૫ હતી, જેમાં ૧લી જૂને ૧૮ નવા કેસો નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં સક્રિય કેસોની સંખ્યા ૪૩૬ હતી, જેમાં ૬૨ નવા કેસો રવિવારે નોંધાયા છે.
કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો હોવા છતાં સરકાર કહે છે કે ચિંતાની કોઇ જરૂર નથી. કોવિડ-૧૯ની સ્થિતિ પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. ચેપનું પ્રમાણ ઓછું છે અને મોટાભાગના દર્દીઓની સારવાર પોતાના ઘરમાં જ ચાલી રહી છે.
સામાન્ય નાગરિકોને વિનંતી છે કે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો.રાજીવ બહલે જણાવ્યું કે પશ્ચિમ અને દક્ષિણમાં સેમ્પલોના જીનોમ સીક્સવેંસિંગથી ખબર પડે છે કે મામલાઓમાં વર્તમાન વૃદ્ધિને વધારનાર વેરિયન્ટ ગંભીર નથી અને એ ઓમીક્રોનના સબવેરિયન્ટ છે.SS1MS