ચાર મિત્રોએ ત્રાસ આપી- માર મારતા જામનગરના તરુણે ડેમમાં ઝંપલાવ્યું
વીજરખી ડેમમાં યુવાને કરેલા આપઘાતમાં ચોંકાવનારા ખુલાસા, ચાર મિત્રો સામે ફરિયાદ
જામનગર, જામનગર નજીક વીજરખી ડેમમાં બે દિવસ પહેલા ૧૬ વર્ષના એક તરુણે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકના જ ચાર મિત્ર કે જેઓએ તેને માર મારતો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો ડીલીટ કરવા માટે પૈસાની માંગણી કરી વધુ માર મારવા માટે ત્રાસ ગુજારતા હોવાથી તેઓના ત્રાસથી કંટાળી જઈ ડેમમાં ઝંપલાવી દીધું હોવાનું જાહેર થયું છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદિર અબ્બાસ અલી આરબ નામના ૧૬ વર્ષના તુરુણે બે દિવસ પહેલા જામનગર-કાલાવડ રોડ પર આવેલા વીજરખી ડેમમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી હતી. જેણે પોતાના મોબાઈલ ફોનમાં અચ્છા ચલતા હું દુવાઓમેં યાદ રખતા ગીત સાથેનું પોતાનું અંતિમ વીડિયો સાથેનું સ્ટેટસ મુકીને આપઘાત કરી લીધો હતો જે બનાવ પછી મૃતકની માતાએ સમગ્ર પ્રકરણમાં પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
અબ્દુલ કાદિર કે જેના મિત્રો જામનગરમાં રહેતા તૌફીક ઉર્ફે ભાણેજ ખીરા હમિદ ખેરાણી અને તેના અન્ય બે મિત્રો કે જે ચારેયએ મળીને થોડા સમય પહેલા અબ્દુલ કાદીરને માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી લીધો હતો જે વીડિયો ઈન્સ્ટાગ્રામ વાયરલ પણ કર્યો હતો જે વીડીયો ડીલીટ કરવા માટે અબ્દુલ કાદીરને અવારનવાર ધાકધમકી આપતા હતા
અને વીડિયો ડિલીટ કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી માગણી કરતા હતા જે પૈસા આપ્યા ન હોવાથી ફરીથી ચારેય મિત્ર માર મારશે તેવી ધાક ધમકીઓ પણ આપ્યા રાખતા હતા જેથી આખરે અબ્દુલ કાદીરે ચારેય મિત્રના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઈ ડેમમાં ઝંપલાવી આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.
જેથી પંચકોશી એ ડીવીઝનના પીએસઆઈ જે.પી. સોઢા એ મૃતક અબ્દુલ કાદીરની માતા સુલતાનાબેનની ફરિયાદના આધારે તેના પુત્રને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર તૌફીક ખીરા અને કામિલ ખેરાણી સહિત ચારેય શખસો સામે ગુનો નોંધ્યો છે અને તેઓની અટકાયત કરવાની માટેની કાર્યવાહી હાથ ધરી છે.