ત્રિ-દિવસીય લોકકલા મહોત્સવમાં દેશભરમાંથી આવેલા 1000થી પણ વધારે લોક કલાકારોએ પરફોર્મ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઇન્ડિયન ફોક કાર્નિવલ‘માં રહ્યા ઉપસ્થિત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમી સાંજે લોકનૃત્યો તથા લોકસંગીતનો આસ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ લોકકલાના સંવર્ધન માટે આયોજિત આ સુંદર કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા અને સમગ્ર કલાજગતને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ઇન્ડિયન ફોક કાર્નિવલના ત્રિદિવસીય આયોજનનો આજે અંતિમ દિવસ હતો. પ્રથમ દિવસે ગુજરાતી નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી. મહોત્સવના બીજા દિવસે દેશભરના વિવિધ આદિજાતિ જૂથો દ્વારા વિશેષ નૃત્યો રજૂ કરાયાં હતાં, જ્યારે ત્રીજા દિવસે ભારતીય નૃત્ય મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિતના પ્રદેશોના નૃત્યો – લોકગીતો પ્રસ્તુત કરાયાં હતાં. આ રાષ્ટ્રીય સ્તરના મહોત્સવમાં સમગ્ર દેશભરમાંથી 1000થી વધુ લોકકલાકારો સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સાંસ્કૃતિક સહભાગી તરીકે જોડાયા હતા.
આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક તથા પદ્મશ્રીથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રીથી સન્માનિત વિખ્યાત લોક કલાકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ અને મોટી સંખ્યામાં લોકકલાકારો, કલાજગત સાથે સંકળાયેલા લોકો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.