ખાનગી કાર માટે પ્રતિ કિલોમીટર ટોલ દર ઘટાડવા પરિવહન મંત્રાલયની વિચારણા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Mumbai-toll.jpg)
30 હજાર ભરી દો પછી 15 વર્ષ ટોલ ટેક્સ ભરવાની જરુર નહીં
(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે મોટા રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ મુસાફરો ૩,૦૦૦માં વાર્ષિક ટોલ પાસ ખરીદી શકશે,
જેનાથી તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અમર્યાદિત મુસાફરી કરી શકશે. તેમજ, ૧૫ વર્ષ માટે આજીવન ટોલ પાસ ૩૦૦૦૦ માં ઉપલબ્ધ થશે. આ યોજનાના અમલીકરણ પછી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લાખો મુસાફરોને સીધો લાભ મળશે અને ટોલ પ્લાઝા પર ભીડ પણ ઓછી થશે.
અહેવાલ મુજબ, આ દરખાસ્ત માર્ગ પરિવહન મંત્રાલય પાસે અંતિમ તબક્કામાં છે. માહિતી અનુસાર, મંત્રાલય ખાનગી કાર માટે પ્રતિ કિલોમીટર ટોલ દર ઘટાડવાનું પણ વિચારી રહ્યું છે, જેથી હાઇવે વપરાશકર્તાઓને વધુ રાહત મળી શકે. આ પાસ માટે કોઈ નવું કાર્ડ ખરીદવાની જરૂર રહેશે નહીં કારણ કે આ સુવિધા ફાસ્ટટેગમાં જ સંકલિત કરવામાં આવશે.
હાલમાં, સ્થાનિક અને નિયમિત મુસાફરોને એક જ ટોલ પ્લાઝા પાર કરવા માટે માસિક પાસ આપવામાં આવે છે. તેમની કિંમત ૩૪૦ પ્રતિ માસ છે. આ રકમ એક વર્ષ માટે ૪,૦૮૦ છે. આવી સ્થિતિમાં, સમગ્ર નેશનલ હાઈવે નેટવર્ક પર અમર્યાદિત મુસાફરી માટે ૩,૦૦૦ નો વાર્ષિક પાસ વધુ આર્થિક વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક હશે અને સરકારના વિશ્લેષણ મુજબ, તે લોકોમાં લોકપ્રિય બની શકે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેમનું મંત્રાલય ખાનગી કાર માલિકો માટે આવા ટોલ પાસ માટેની યોજના પર કામ કરી રહ્યું છે. મંત્રાલય આને અનેક સમસ્યાઓના ઉકેલ તરીકે જુએ છે, જેમાં મ્યુનિસિપલ હદમાં ટોલ પ્લાઝા પ્રત્યે વધતો રોષ, ૬૦ કિમીથી ઓછા અંતરે ટોલ ગેટ સ્થાપિત કરવા અને ટોલ પ્લાઝા પર હિંસાની ઘટનાઓનો સમાવેશ થાય છે.