ટ્રકચાલકોએ તુવેર-સોયાબીનનો 73 લાખનો માલ લઈ ભાગી ગયા
જૂનાગઢના બે વેપારીઓને ટ્રકચાલકોએ રૂ.૭૩.૮૮ લાખનો ધુંબો માર્યાની ફરિયાદ-તુવેર-સોયાબીનનો જથ્થો ન પહોંચાડી છેતરપિંડી
જૂનાગઢ, જૂનાગઢના બે વેપારીઓને ટ્રક ચાલકોએ રૂ.૭૩.૮૮ લાખનો તુવેર અને સોયાબીનનો જથ્થો છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ન પહોંચાડી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત પ્રમાણે અહીંના યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી નિલેશ ખુશાલદાસ ચંદારાણા અને સંજયભાઈ નામના વેપારીએ રાજુ જસાણી નામના ટ્રક માલિકના ત્રણ ટ્રક દ્વારા સોયાબીન અને તુવેરનો એકાદ લાખ કિલોથી વધારે જથ્થો ભરી છત્તીસગઢ અને મહારાષ્ટ્ર રવાના કર્યો હતો.
તેમાં તા.૧થી ૭ સપ્ટેમ્બર, દરમિયાન ટ્રક પવન નામના હિન્દી ભાષી ટ્રક ડ્રાઈવર મારફત રૂ.૩૬,ર૦,૪૩૦ની કિંમતની જણસી તથા ટ્રકમાં સમીર ક્રેટી નામના ડ્રાઈવર મારફત રૂ.ર૬,ર૦,૮૦૦ની જણસી ભરીને છત્તીસગઢ રવાના કરી હતી જયારે ટ્રક નં. જીજે.૧ર એ.ઝેડ રર૭૬માં જાેધપુર (રાજસ્થાન)ના ટ્રક ડ્રાઈવર ફિરોજ મારફત રૂ.ર૧,૪૩,૬૮૦ની કિંમતની જણસી મહારાષ્ટ્ર રવાના કરી હતી.
ઉપરોકત ત્રણેય ટ્રકના ચાલકોએ તુવેર- સોયાબીનનો જથ્થો નિયત સ્થળે ન પહોંચાડી બારોબાર સગેવગે કરી દીધેલ તેમાં રૂ.૭૭,૮૮,૧૯૦ કિંમતનો કઠોળનો જથ્થો હતો તેનું વજન ૧.૦પ,૩૮પ કિલો હતું. આ જથ્થો જે સ્થળે વેપારીઓએ રવાના કરેલ ત્યાં ન પહોંચાડી ટ્રક માલિક અને ચાલકોએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એ.બી. દત્તાએ હાથ ધરી છે.